આત્માને અધિક જાણવો તેને જ આધ્યાત્મ કહેવાતું હશેને?
સ્વ. થતા પહેલા “સ્વ”ને જાણવો તેનેજ આધ્યાત્મ કહેવાતુ હશેને?
દરેક ધર્મમાં ઢળતી ઉંમરે સ્વ. થતા પહેલા “સ્વ”ને જાણવાનાં પ્રયત્ન ને પુરતુ મહત્વ અપાય છે. હું અલ્પમતિ આજની મારી વાતને મારા જ્ઞાન ની મર્યાદામાં રહીને રજુ કરીશ. એનો અર્થ એ કે મારી સમજ સૌના જેટલી કે તેથી ઓછી પણ હોઇ શકે..
જૈન સંપ્રદાયોમાં એવું સ્પષ્ટ મનાય છે કે
આત્મા છે
તે અજર અને અમર છે
તેને સમજી શકાય છે
તેને સમજીને મુક્તિ પામી શકાય છે.
આ મુક્તિ એટલે શું?
મુક્તિ કેમ પામવી જોઇએ?
મુક્તિ શાનાથી પામવી જોઇએ?
ઘણાં પંથોમાં મુક્તિ એટલે સ્વર્ગની પ્રાપ્તિ…
આત્માનું પરમાત્મા સાથે મિલન એટલે સંપૂર્ણ સુખની અનુભૂતિ..
હું કહીશ કે ખરું સુખ છે જન્મ મરણ નાં ચક્રોમાં થી મુક્તિ.
સિધ્ધ થયેલા આત્માઓ સિધ્ધ શીલા ઉપર ઉંધા માથે લટકીને ભવ્યતા પ્રાપ્ત કરે છે
૮૪ લાખ ભવોમાં જાણે કંઇ કેટલાય વર્ષોથી આપણે ભમીયે છે પણ કર્મ રાજાની સત્તા હેઠળ “કર્મ શુન્યતા ” થતી જ નથી. અને કહે છે કે કર્મ શુન્યતા આવે તોજ મોક્ષ દ્વાર ખુલે અને સિધ્ધ શીલા પર સ્થાન મળે.
મારામાં રહેલો વૈજ્ઞાનિક વિચારક આવી બધી વાતો સાંભળુ ત્યારે સાધુ સંતો ની તર્કબધ્ધતા અને કલ્પનાશીલ વાતો ઉપર ગર્વ લે પણ પુરાવા વિના કશુ માનવાનું મન જ ના થાય. કારણ કે તેઓની વાતો તો હમેશા “બુધ્ધી કેરા સિમાડા જ્યાં અટકી ગયા શ્રધ્ધા સંતો કહી ગયા” ઉપર જ આવીને અટકે.
ક્યારેક તેઓની વાત સમજવા હું આસ્તિક બની ને જ્યારે સાંભળુ ત્યારે આધ્યાત્મની વાતોમાં મને રસ પડે. જેમ કે આત્મા કર્મનાં રજકણોનાં ભારથી ભારે બની જાય છે તેથી તે આત્માનું ઉર્ધ્વગમન શક્ય બનતુ નથી.
તુંબડાનો દાખલો તેથી આપવામાં આવે છે કે તુંબડા ઉપર માટીનો લેપ લગાડો અને તે સુકાઇ જાય પછી પાણીમાં નાંખો ત્યારે તુંબડુ તે માટીનાં ભારથી ડૂબી જાય છે.. સાવ સાચી વાત છે. હવે પાણીમાં ઝાઝો સમય રહેવાથી સુકાયેલી માટી ભિંજાઇને છુટી પડી જાય છે અને તુંબડૂ પાછુ પાણી ઉપર તરવા માંડે છે. આ વાત પણ અગાઉની વાત જેટલી જ સાચી છે અને તેથી કહે છે પાણી જેવા સત્સંગિઓ સાથે રહો તો જ તો કર્મો છુટતા જાયને?.. અને આપણો અજર અમર આત્મા પાછો ઉપર આવશે. હવે ઉપર આવીને તે સંભવીત નર્ક્માં થી છુટશે પન હજી મુક્તિનો માર્ગ તો ઘણો જ લાંબો છે. તમે પાપ કરો તો તે પણ અહીંજ ભોગવવાનાં અને પુણ્ય કરો તો તે પણ અહીં જ ભોગવવાનાં.. એવું નહીકે ૧૦૦ પાપ કરો અને સામે ૧૦૦ પૂણ્ય કરો તો આમને સામને જીરુ મીઠુ થઇ જાય.. કદાચ આ જ્ઞાન મોટી ઉંમરેજ સમજાય છે કારણ કે હવે ભવ ખુટતો જાય છે.તેથી થાય તેટલું પૂણ્ય કરી લો…ધર્મના સ્થાને પૈસા ખરચો એટલે પૂણ્ય ઉપાર્જીત થાય.
આ વાત મને જચતી નથી. સોસાયટી ને પાછું જ આપવું હોય તો ધ્રર્મ સ્થાનો ઉપરાંત ઘણી જગ્યાએ ઘણું જ આપી શકાય છે.અને ખાસ તો મોટી ઉંમરે એક સત્ય જલ્દી લાધે છે કે અહીંનું કશુંય સાથે આવવાનું નથી. વંશજો હોય તો તેમને માટે છોડી જવાનું છે. અને તેથી મન ધીમે ધીમે વિરક્તિ તરફ વળે છે જેને હું આધ્યાત્મનો પહેલો અનુભવ કહીશ. કહેવાય છે જ્યારે અહંમ માં થી “અ” નીકળે ત્યારે “હમ રહે છે જે ઉત્થાનની સીડી ઉપરનું પહેલું પગથીયું બને છે. સ્વર્ગસ્થ થતા પહેલા આ “સ્વ” તરફનું પ્રયાણ એટલે જ પરમાં થી “સ્વ” તરફ જવાનું પ્રયાણ.
આધ્યાત્મ ને આજ કારણે હલકાથવાની ક્રીયા કહે છે નર્કમાં થી “માનવ”થયાની વાત કહેવાય છે. પણ અહીંથી અટકવાનું નથી આપણે તો હજી ઉપર ચઢવું છે અને તે ઉપર ચઢવાની સીડી છે આધ્યાત્મ જે આત્માને કર્મનાં રજકણો થી મુક્ત કરે છે.
આ પ્રક્રિયા સમજાવવા એક દાખલો અપાય છે કે કાણી નાવ છે અને ઉંડા તોફાની સમુદ્રમાં તમે એકલા છો અને ડુબવું ના હોયતો બેજ ઉપાયો છે એક તો કાણું પુરવા પ્રયત્ન કરો અથવા નાવમાં આવતા પાણી ને ઉલેચો.. કર્મ શુન્યતા પામવા આ બંને ઉપાયો પ્રયોજવા પડે છે એક તો નવા કરમ બાંધવાનાં છોડો અથવા કર્મને તેનું ફળ આપી જવાદો. ‘ ક્યાંક સાંભળેલુ હતુ કે કોઇ પણ ઘટના ઘટી તેની અસરો પાછળ હાય હાય કરવાનું છોડો અને તેને એક માત્રા વધારીને એટલે કે હોય હોય કહી જીવવાનું શીખાય તો નવા બંધાતા કર્મો ઘટી જતા હોય છે
દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.
-મનસુખલાલ ઝવેરી
“લય સ્તરો” માંથી જડેલ આ ધ્રુવ વાક્ય વાંચતા જ વિચારો એ જોર પકડ્યું. શાશ્વતા સુખની શોધ દરેક જણ તેમની જિંદગીમાં કરે છે. કેટલાક તે સુખ જ્યાં દુ:ખ છે ત્યાંથી કરે છે, તેમાં કરે છે અને તે છે મોહ રાજાનો ગઢ એટલે મમ, મારુ અને મારા પણાનો ભાવ અને તે જન્માવે અપેક્ષાઓની વણઝાર.. આતમ રાજાને ગુંગળાવતા આ આવરણો પછી ચઢાવે ઘણાં મહોરાં જેમ કે મારું કુટુંબ, મારુ ઘર, મારો ઉદ્યમ, મારા સંતાનો અને મારુ જગત. સમયનાં વહેતા વહેણમાં મારાની આગળ “અ” કે “ત’ આવે તે અમારા કે તમારા થાય.. અને શરુ થાય વરવી અપેક્ષા હનનની રંગમંચી રમત…જેમાંથી સર્જાય વિધ વિધ અંકોનુ પણ કદી ન પુરુ થતુ સંસાર, ઝંઝાળ, દુ:ખોનુ અડાબીડ જંગલ અને એકલી વેદનાઓ કે સંવેદનાઓ.
ઓછા નુકશાને બહાર આવવાનો રસ્તો કવિ શ્રી મનસુખભાઇ ઝવેરી એ સુચવ્યો છે અને તે છે સ્થિતપ્રજ્ઞ થા અને તે થવા જરુરી છે મોહ ને મોહરાં ઉતારવા
આ સમજણો ને વૈજ્ઞાનીક અભિગમોથી સમજાય છે અને તેથી જ મનાય છે કે આધ્યાત્મની સાચી સમજ જ ઉત્થાન ની એક માત્ર સીડી છે.સર્વ ધર્મો આ વાત પોત પોતાની રીતે કહેતા હોય છે.
બહુજ સુંદર આત્મચિંતન, ખરેખર વાંચવાનુ ખુબજ ગમ્યું.
LikeLike