મીઠા જળનું મીન ઉદધીમાં

mitha jalnu min

મીઠા જળનું મીન ઉદધીમાં – 1 (પ્રવિણા કડકીયા)

Posted on April 12, 2007 by vijayshah

પ્રસ્તુત છે અહીંબીજી એક સહિયારી લઘુ નવલકથાનાં સર્જનનો પ્રયાસ:

ગુજરાતી સાહિત્યોમાં પ્રયોગો અનેક થયા છે. અને જે પ્રયોગોમાં તેનો હેતુ સિધ્ધ થાય તે પ્રયોગોને ચાહકો અને વાચકોનો પ્રેમ સાંપડતો હોય છેસહિયારા સર્જનમાં કવિતા અને પાદપુર્તિની સફળતા પછી એજ પ્રયોગ સાહિત્યનાં અન્ય પ્રકારગદ્યમાટે આપ સૌની શુભેચ્છા સાથે મુકીએ છીએ. વાર્તા માટે અમને 4 લેખકો તરફથી સહકાર મળેલો છે, અને બીજા બે થી ત્રણ લેખકોને પણ સમાવી શકીશુ. “મીઠા જળનું મીન ઉદધીમાંનાં મુખ્ય લેખક પ્રવિણા કડકીયા છે. ત્રીજા કે ચોથા અંક થી અન્ય લેખક મિત્રો વાર્તા ને આગળ ચલાવશે

આપ સૌના સલાહસૂચનો આવકાર્ય છે. વિજય શાહ @નીલમ દોશી @ઊર્મીસાગર

 

મીઠા જળનું મીન ઉદધીમાં

ભાગ – 1 : (પ્રવિણાબેન કડકીયા)

માનવે એમ.બી.એ. ભણીને શેરબજારમાં ઝંપલાવ્યું.  તેને ચાર્ટર્ડ એકાઉન્ટંટ નો અભ્યાસ પણ કરવો હતો.  વિચાર આવ્યો લાવને થોડો વખત પૈસા કમાવી ને મઝા કરું. સહુથી ટૂંકો અને ઝડપી રસ્તો હતો ‘શેરબજાર’. પછી આગળ અભ્યાસ ચાલુ રાખીશ. ખૂબજ તરવરાટ વાળો માનવ જિવનમાં કશું કરી છૂટવાની તમન્ના ધરાવતો હતો. તે માત્ર કિતાબનો કીડો ન હતો.દરરોજ સવારે મરીનડ્રાઈવ પર દોડતો જતો અને ત્યાં જઈ યોગના આસનો પણ કરતો. દરિયા કિનારે ધરતી અને સમુદ્રના મિલનનું સુભગ દ્રશ્ય તેને અતિ પ્રિય હતું. સમુદ્રના મોજા ગાંડાની માફક ધસી આવીને કિનારાને આલિંગતા તે માણવાની માનવને ઘણી મજા પડતી. ધસમસતા આવતાં મોજા મિલનનો આહલાદ્ક રોમાંચ માણી નરમ ઘેંશ જેવા થઈ જતા. સમુદ્રના મોજાનું મિલન વાળું દ્રશ્ય તેના હૈયાને હચમચાવી મૂકતું. ઓટના સમયે થતી વિરહની વેદના તેની આંખમાં આંસુ લાવીને જ ઝંપતું. સમુદ્ર જ્યારે શાંત હોય ત્યારે તેને સમાધી લાગી જતી. તે દરિયાકિનારે જન્મીને મોટો થયો હતો. મુંબઈનો દરિયા કિનારો તેનું પ્રિય સ્થળ હતું. ભગવાને માનવને ખૂબ ફુરસદે ઘડ્યો હતો. પિતા આનંદ અને માતા અમી માનવની પ્રગતિ જોઈ ગૌરવ અનુભવતા. કોલેજમાં ક્રિકેટ નો ઝડપી ગોલંદાજ માનવ મિત્રમંડળમા પ્રખ્યાત હતો. યુવાન છોકરીઓ તેની નજદીક સરવા તલપાપડ રહેતી. માનવ થોડો થોડો મનુષ્ય પારખુ હતો. બહુ દાદ આપતો નહી. ઉપરાંત તેના હ્રદયને સ્પર્ષે તેવી હજુ કોઈ તેને જણાઈ ન હતી. તેથી સાવચેતી પૂર્વક સહુથી અળગો રહેતો. છોકરા છોકરીઓ ના ટોળામાં બને ત્યાં સુધી તે પ્રેક્ષકનું પાત્ર ભજવતો. હા, જ્યારે પણ કાઁઈ બોલે કે અભિપ્રાય રજુ કરતો ત્યારે સાંભળનાર મંત્રમુગ્ધ થઈ જતા.

નિરાલી, તેમના ટોળામા હમેશા જણાતી. કોઈએ વિધિસર પરિચય કરાવ્યો ન હતો તેથી વાત કરવાનો પ્રસંગ સાંપડ્યો ન હતો. નિરાલી તિરછી નજરે તેને જોવાનો લહાવો માણતી. માનવ બને ત્યાં સુધી સમુહમા એકલો જ રહેતો. એમ.બી.એ. થયા પછી તેનો ધ્યેય હતો થોડા પૈસા બનાવવાનો. માનવ ને મન શેરબજાર એ સહેલો અને ઝ્ડપી માર્ગ હતો. નસીબે યારી આપી. ૨૮ વર્ષનો માનવ બે જ વર્ષમાં લાખોમા રમતો થઈ ગયો. પિતા નું માર્ગદર્શન, માનવનું ભણતર અને શેરબજારની હવાનું અધ્યયન માનવ ખૂબ ઝળક્યો.

આનદ કહેતો બેટા ‘શેરબજારને માં સટ્ટો જ્યારે ચઢે છે ત્યારે માણસ ક્યારે કરોડપતિ માંથી રસ્તા પર રઝળતો થઇ જાય તેની ખબર ન પડે, તેથી સાચવજે.’ માનવને પિતાની શિખામણ શીરાની જેમ ગળે ઉતરી ગઈ. તે હંમેશા માનતો કે અનુભવની એરણ પર ટિપાયેલા શબ્દો ખૂબ મહત્વના હોય છે. માનવને જોઈ અમીને થતું , કોઈ યોગ્ય પાત્ર ખોળી કાઢે તો સારું. તેને ઘરમાં રુમઝુમ કરતી હાસ્યની છોળો ઉડાવતી વહુના ઓરતા હતા. માનવ શેરબજારની સાથે સાથે હોટલના ધંધામા પૈસા રોકી ‘”ગૌરવ” હોટલ નો માલિક બન્યો હતો. તેની લગામ પિતાને સોઁપી, એક કાયમ નો મેનેજર શ્રી.રાકેશ ગોડબોલેને રાખી લીધો. અવાર નવાર તે હિસાબ કિતાબ પર નજર નાખી લેતો. ઘર પણ સુંદર મઝાનું બનાવ્યુ.

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ ની ઉક્તિ અનુસાર ક્યારે તે કરોડપતિ થઈ ગયો ખબર પણ ન પડી. તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હતું. પૈસા બનાવવામાં કુદરતે યારી આપી. ત્યાં સમાચાર મળ્યા કે શીલના લગ્ન લેવાયા છે. માનવ ઉત્સાહમાં આવી ગયો. પૂરા અઠવાડિયાની રજા લીધી. અમીએ પણ તડામાર તૈયારી ચાલુ કરી દીધી. ભાઈ કહોતો ભાઈ અને ભાઈબઁધ કહો તો ભાઈબંધ,શીલ માનવના કાકાનો દિકરો હતો. સહકુટુંબ આનંદ, અમી અને માનવ લગ્ન માણવા ઉપડ્યા…

 

મીઠા જળનું મીન ઉદધીમાં – 2 (પ્રવિણા કડકીયા)

Posted on April 16, 2007 by vijayshah

 

શીલના લગ્નનો લહાવો લેવા આનંદ, અમી અને માનવ આવી પહોઁચ્યા. લગ્નની ધમાલ એટલે પૂછવુ જ શું? આનંદ અને અમી મોટા કાકા કાકી હતા વટ વહેવાર તેમને પૂછીને જ થતો. સવારનો પહોર હતો આનદ અને અમી ચા નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા. નિરાલી, શીલના મિત્ર નિરવની બહેન લગ્નની મોઝ માણવામા સામેલ હતી.શીલ ને બહેન હતી નહી, નિરાલી તેને ન્યાય આપતી. તેને મન શીલ અને નિરવ સમાન હતા. શીલે જાણીજોઈને નિરાલીને કાકા કાકીની સરભરાનો ભાર સોઁપ્યો હતો. શીલને મન માનવ કરતાં કોઈ મૂરતિયો નિરાલી માટે યોગ્ય ન લાગ્યો. ‘અરે, મા તેઁ મારુ પાકિટ જોયું?’ કરતો વરંડામા ધસી આવેલો માનવ… માને નિરાલી સાથે વાત કરતી જોઈ ખચકાયો. તેને તો માન્યમા ન આવ્યું કે નિરાલી અહીં! કોલેજમા અને મિત્ર મંડળમા જોયેલી નિરાલી આમ મળશે તેવો તેને સ્વપને પણ ખ્યાલ નહતો.ખેર,કુદરત ક્યાં,કોને, કેવી રીતે મેળવી આપે છે તે કળવું મુશ્કેલ છે. મનના ભાવ બહાર ન આવવા દેવામા તે સફળ પૂરવાર થયો. અમી બોલી અરે,’ મેઁ બહાર પડેલુ જોયુ તેથી ઠેકાણે મૂક્યુ છે. ચાલ તને આપુ. પણ પછી એક ક્ષણ અટકી ને કહે,’ બેટા આ નિરાલી છે, શીલના જીગરી ભાઈબંધ નિરવની બહેન.’ બન્ને જણાએ ઓળખાણ વિધિ પતાવી. અમીએ અજાણતા મા કેવુ સુંદર સુભગ મિલન સર્જ્યુઁ. માનવે તે સમયે અમી પાસેથી પાકિટ લઈને ચાલતી પકડી. નિરાલી તો અમી અને આનંદ માનવના માતા પિતા છે એ જાણી ખૂબ ખૂશ થઈ. મનોમન શીલનો આભાર માનવા લાગી.શીલના લગ્નમા માનવ મળશે તેવી તો તેને કલ્પના પણ ન હતી. ઈશ્વરમા શ્રધ્ધા ધરાવતી નિરાલી પ્રભુને પ્રાર્થી રહી. હજુતો માનવ સાથે માત્ર પરિચયજ થયો હતો. આગળ શું નુ શું થશે તેનો ખ્યાલ માત્ર તેને રોમાંચનો અનુભવ કરાવવામા સફળ થયો. અમી અને આનંદે નાસ્તો પાણી પતાવ્યા. નિરાલી એ મેજ સાફ કર્યુઁ, પ્યાલો રકાબી નોકરને ધોવા આપી નહાવા જવાની તૈયારી કરતી હતી. સામેથી માનવ કામ પતાવી આવતો જણાયો. નહાવા જવાની ઉતાવળ ન હતી. માનવ હસ્યો, નિરાલી તો ખિલખિલાટ હસી પડી. જાણે દિલનો પડઘો ન સંભળાવતી હોય. શીલના લગ્નનો ઉમંગ બેવડાયો. માનવ અને નિરાલી વાતોએ વળગ્યા. શેની વાતો કરતા હતા તેનું પણ તેમને ભાન ન હતું નિરાલી ના મનનો મોરલો થનગન થનગન નાચી રહ્યો હતો. માનવ પણ જાણે સ્વર્ગ હાથ વેઁતમા હોય તેવુ અનુભવી રહ્યો હતો. નિરાલી અને માનવ જે પળની અણજાણતા ઝંખના કરી રહ્યા હતા તે પામીને ખૂબ ખુશ જણાતા હતા. શીલના લગ્નની સાથે પાંગરી રહ્યો માનવ અને નિરાલીનો પ્યાર. આવ્યા હતા લગ્ન માણવા શુ ખબર હતી કે પ્યાર પમાશે? વિધિની આતો વિચિત્રતા છે. પ્યાર, કેટલો સુહાનો શબ્દ… બે જુવાન હૈયા, કરી બેઠા પ્યાર. પ્યાર ક્યારે થઈ જાય છે, તેની જાણ થતી નથી. પ્યારમા પડાય નહી.પ્યાર થઈ જાય. પ્યાર કરાય. પ્યારના રંગમા રંગાઈ જવાય.અને મનમાંથી શબ્દો નીકળે રંગાઈ જાને રંગમા——- પ્યારમા ઉત્થાન હોય. પ્યારમા પડે તેને વાગે. વાગે તો એવું કે ઉભાપણ ન થવાય. નિરાલી અને માનવ પ્યારમા મસ્ત સહવાસ માણી રહ્યા. પ્રસઁગ પણ એવો હતો ને બધુ અનૂકુળ થઈ રહ્યુઁ. સમય મળતા બન્ને જણા અગાસી પર મળતા વાતો વાતોમા એક બીજાની નજદિક સરી રહ્યા. માનવ એકલો પડતો ત્યારે વિચારતો આ સંબધ આગળ ખૂબ સાચવીને વધારીશ. અમી અને આનંદ તેના જિવનના અભિન્ન અંગ હતા. તેમનો માન મરતબો જળવાય તે અગત્યનુ હતુ. તે માતાપિતાને ખૂબ ચાહતો હતો. ૨૧મી સદીના માનવના વિચારો ભગવદ ગીતા ઉપર આધારિત હતા. લગ્ન,તેને મન પવિત્ર અતૂટ બંધન હતું. તેની જિઁદગીના વિધવિધ પાસા નિરાલીનુ આકર્ષણ મજબૂત બનાવી રહ્યા હતા. નિરાલી પણ માનવ ને મળવા તેની સાથે વાતો કરી કોણ જાણે કેટલા વખતથી તરસી રહી હતી. માનવની વાતો, તેની છટા તેની પ્યારની અભિવ્યક્ત કરવાની શૈલી બધું જ તેને અનેરૂ લાગતું. નિરાલી વિચારતી માનવનો જિવન પ્રત્યેનો અભિગમ, તેની વાક્પટુતા ,હ્રદયની સુંદરતા બધુ શેને આભારી છે? રહી રહી ને એક નિર્ણય પર પહોઁચતી અને જશનો – ટોપલો અમી અને આનંદ ઉપર ઢોળતી. માનવ પણ નિરાલીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયો હતો. દેખાવડી, નાજુક, સોહામણી નિરાલી તેને મનભાવન હતી. તેનુ નિખાલસ હાસ્ય માનવના હ્રદયને સ્પર્ષી જતુ. બન્ને જણા જ્યારે પણ એકલા પડતા ત્યારે વાણી કરતા આઁખોથી વધુ વાત કરતા. બન્નેને થતુ તેઓ એકબીજા માટે જ સર્જાયા છે. શીલના લગ્ન થઈ ગયા. શીલ તો તેની નવી પરણેતર સાથે મધુરજની માણવા નૈનિતાલ ઉપડી ગયો. સહુ સગાવહાલા વિખરાવા લાગ્યા. કહેવાની જરુરત નથી. સરનામાની અદલ બદલ થઈ. ટેલિફોન નંબરની નોઁધ થઈ. અને—-લગ્ન માણવા આવેલા માનવ અને નિરાલી જિવનસાથી મળ્યાના મધુરા આનંદ સાથે છૂટા પડ્યા.

મીઠા જળનું મીન ઉદધીમાં – 3 (પ્રવિણા કડકીયા)

Posted on April 18, 2007 by vijayshah

 

પ્રણયના રંગે રંગાયેલા માનવ અને નિરાલી પોતપોતાના ઘરે આવ્યા.  માનવ અઠવાડિયાથી ઘરની બહાર હતો. કામકાજના ભાર તળે નિરાલીને  ફોન ન કરી શક્યો “ગૌરવ” પર આંટો મારીને તેની પરિસ્થિતિનો તાગ પણ  મેળવવાનો હતો. માનવ બધી બાબતમા ખૂબ ચોક્કસ હતો તે તો તેની  પ્રગતિનુ મુખ્ય કારણ હતું. પિતાની છત્રછાયા અને માર્ગદર્શન તેને અત્યંત  સહાય રૂપ થતા. માનવ જાણતો હતો કે તેની માતા તેને ખૂબ પ્યાર કરતી.  નાનપણ માતાના પ્યાર અને પિતાની ચોકસાઈમાં વિકસ્યુ હતુ તેનો માનવ  જીવતો જાગતો પૂરાવો હતો. પિતા તેને મન હવે મિત્ર સમાન બની રહ્યા હતા. માનવે પોતાની લાગણીઓનો પિતા સમક્ષ એકરાર કર્યો. પિતાએ પુત્રના દિલની  વાત જાણી   સંમતિની મહોર મારી. રાતે જમવાના ટેબલ ઉપર વાત ચર્ચાઈ  અમી પણ અનહદ ખુશ થઈ. સફળ પરિવારનુ ઉદાહરણ, કોઈ પણ વાત  હોય  નિખાલસ વાતાવરણમા તેની ચર્ચા કરી સમાધાન મેળવવું એ આ ઘરનો શિરસ્તો  હતો.    આ બાજુ નિરાલીના ઘરનુ દ્રશ્ય ભિન્ન હતુ. તેના પિતા આધુનિકતાના રંગે  રંગાયેલા હતા. નાનપણમા નિરાલી અને તેનો ભાઈ નિરવ માતાના કહ્યામા  રહેતા. કિઁતુ જુવાની દિવાની, માતાની અવગણના થતી. નિખિલભાઈને તેની  સામે વાધો ન હતો. નિતાબહેન જરુરિયાતથી વધારે બોલ્યા વગર પોતાની  પ્રવ્રુત્તિમાં વ્યસ્ત રહેતા. નિતાબહેનની ચકોર આંખોએ નિરાલીમાં કશુંક ભાળ્યુ.  પ્રેમ છુપાવ્યો છૂપતો નથી. તેની અભિવ્યક્તિ કોઈ પણ રીતે થઈ જતી જણાય.  નિતાબહેને ધીરે ધીરે નિરાલીને વિશ્વાસમા લેવાના ચક્ર ગતિમાન કર્યા. પરિણામ  નિતાબહેન નિરાલી પાસેથી જાણી શક્યાકે નિરાલી માનવને પ્રેમ કરતી હતી. હવે  આ વાત નિખિલભાઈને કેવી રીતે જણાવવી તેની ગુફ્તગુ ચાલવા માંડી. નિરવે  થોડી ઘણી બાતમી નિરાલીની સાથે વાત કરીને મેળવી. શીલનો ઈરાદો તેને ખબર  હતો. ધીરે ધીરે પાણી પહેલા પાળ બાંધી વાત નિખિલભાઈ સુધી પહોઁચાડવામા  સફળતા સાંપડી. માનવ મોદી, શેરબજારનો લબરમૂછીયો પોતાની દિકરીને ચાહે  છે તે જાણી નિખિલભાઈ ખુશ થયા. મુંબઈ સમાચારના પાને માનવ ઘણીવાર  ચમક્યો હતો. વાત  આટલી સરળતાથી પતશે એવો તો નિરાલીને ખ્યાલ જ ન  હતો.  નિરાલી એ જે માનવના મન અને વર્તનનો અભ્યાસ કર્યો હતો તેનાપરથી  માનવ જૂદી માટીમાંથી ઘડાયો હતો એવુ તેણે તારવ્યું. તેને માનવની દરેક  ચીજ અફ્લાતુન લાગતી. માનવનો પ્રેમાળ સ્વભાવ, આટલી નાની ઉઁમરમા  સાધેલી પ્રગતિ, માતાપિતા વિશેના તેના ઉમદા વિચારો—-નિરાલી વિચારતી માનવ આટલું બધુ જ્ઞાન કેવી રીતે પામ્યો હશે? ક્યાંથી આટલો  સમય ફાળવ્યો હશે? જેમ જેમ તેના વિચાર કરતી તેમ તેમ તેનુ વિસ્મય વધતા જતા.  પોતાને ખૂબ ભાગ્યશાળી માનવા લાગી. ધીરે ધીરે તે માનવમય થતી ગઈ. સાચો  પ્યાર મનુષ્યમા ધરમૂળથી ફેરફાર કરતો હોય છે. નિરાલી તે અનુભવી રહી.   માનવ પણ નિરાલીની પ્રેમાળતા પર વારી ગયો હતો. તેની સુંદરતા માત્ર બાહ્ય  ન જણાતા તેના અંત:સ્તલને સ્પર્શી ગઈ હતી. તેનું દિલ કહેતુ હતુ કે નિરાલીની  પસંદગી યોગ્ય છે. નિરાલી જ્યારે માનવને મળતી ત્યારે થતી વાતચીત ઉપરથી  માનવ તેના જિઁદગી વીશેના  વિચાર જાણવા પામતો. નિરાલીને જ્યારે પણ તેણે  મિત્ર મંડળમા જોઈ હતી ત્યારથી તેને વિષે વધુ જાણવા તે ઉત્સુક હતો. અને હવે  જ્યારે શમણું સત્યતામાં ફેરવાયુ. તે હર પળ ભોગવતો.  ખૂબ વ્યસ્તતાવાળા જિવનમા નિરાલીને ગોઠવવા તે શક્તિમાન બન્યો. આજે બેઁક  બંધ હોવાથી શેરબજાર બંધ હતુ. સવારે ગૌરવ ઉપર આંટો મારી આવ્યો. પછી  નિરાલીને ફોનજોડ્યો. “હલો નિરાલી આજે સાંજના રીગલમા નવુ ચિત્રપટ લાગ્યુ છે,  ટિકિટ મંગાવી રાખી છે હું તને લેવા આવીશ પાંચ વાગે તૈયાર રહેજે.—“

મીઠા જળનું મીન ઉદધીમાં – 4 (પ્રવિણા કડકીયા)

Posted on April 20, 2007 by vijayshah

 

માનવ અને નિરાલીનો નવો નવો પ્યાર પાંગરી રહ્યો હતો. બન્ને પ્રેમ પંખીડા એક બીજામા ગુલતાન હતા. ખૂબ વ્યસ્ત જિવનમા પણ માનવ સિફતતાથી નિરાલીને મળવાનો સમય ફાળવતો. આજે અભિષેક અને ઐશ્વર્યાનુ ચિત્રપટ જોવા જવાનો કાર્યક્રમ નિરાલીએ ખાસ માનવ ને રીઝવવા ઘડી કાઢ્યો હતો. નિરાલી માનવના પ્યારમા દિવાની બની હતી. પહેલા પ્યારની ખૂશ્બુ એ તો સહજીવનની ઈમારતનો પાયો છે. દસેક પળોમા તૈયાર થતી નિરાળી અડધી ઘડી વીતી ગઈ પણ નક્કી નથી કરી શકતી કે શું પહેરવુ? આખરે જાંબલી રંગના પંજાબી પર નજર ઠરી અને રેશમી દુપટ્ટો નાખી નવા ઊંચી એડીના ચંપલ પહેરી હાથમાં નવુ પાકીટ હલાવતી માનવની રાહ જોવા લાગી.

માનવ જેટલો દેખાવડો હતો તેટલો જ લઘરો પણ હતો. કોઈ અજાણ્યું મળે તો માની પણ ના શકે કે આ લબરમૂછીયા પાસે કરોડો રુપિયા હશે. આજે નિરાલીને ખુશ કરવા સરસ મજાનો તૈયાર થઈ નવી ગાડીમા ઉપડ્યો. અમી ખૂબ ખુશ થઈ. તેના દિલના બધા અરમાન પૂરા કરતો આવો સુંદર દિકરો ભગવાને આપ્યો હતો. માનવ અને નિરાલી એક બીજાને જોઈને અતિ પ્રસન્ન થયા. ચિત્રપટમા સમોસા અને મેંગોલાની મજા માણી. રાતે બહાર જમવુ હતુ તેથી માત્ર નાસ્તા જેવો કર્યુ. માનવ જેનુ નામ, જેને મન માતા અને પિતા ભગવાનથી પણ અધિક તેમના હિતનુ ધ્યાન સદા કાળજે ધરતો. નિરાલી તેના આ ગુણ પર મનોમન વારી જતી. તેને થતુ માનવ ના મમ્મીએ પુત્રને ખૂબ પ્યાર અને સંસ્કાર આપ્યા છે. તેને અમી તથા આનંદ માટે ગર્વ થતો. સામાન્ય રીતે બને તેમજ આવી સુંદર ઘટનાનું લગ્ન જ હોય. આનંદ અને અમી એ એકના એક દિકરાના લગ્ન અખાત્રીજનું શુભ મૂહર્ત જોવડાવી નિરધાર્યા. ભલે દિકરાની વહુ ઘરમા આવવાની હતી. અમી જ જાણે સર્વે સર્વા ન હોય. કોઈ વાતની કમી ન રહેવી જોઈએ. બહારગામ મહેમાનો, સગાવહાલા સર્વે ને નિમંત્રણ પત્રિકા ઓ સમયસર મોકલાવી . સહુથી પહેલુ નિમંત્રણ પ્રભુને. આ બધી તેની તો કૃપા છે એમ અમી તથા આનંદ માનતા. માનવ જરુર એવી કોઈ શક્તિમાં વિશ્વાસ ધરાવતો. તેના પ્રયત્નો, પિતાજીનુ માર્ગ દર્શન અને અગમ્ય શક્તિનો સહયોગ તેના ઉજ્જવલ ભાવિ માટેના કારણ હતા. લગ્ન માનવના અને નીલ સહુથી પહેલો પરિવાર સાથે હાજર થઇ ગયો. તેની મુરાદ બર આવી હતી તેનો ઘટોસ્ફોટ તેણે માનવ પાસે કર્યો. માનવ આ જાણી શીલને ભેટી પડ્યો. આ સુભગ મિલનની નોંધ આનંદ અને અમીએ પણ કરી. લગ્નની ધમાલ પૂર જોશમા ચાલી રહી હતી. ધંધાના મોટા મોટા ધુરંધરોને કંકોત્રીઓ મોકલવામા આવી. રાકેશ ગોડબોલે, સુજાતા, નિખિલ, બધા ખડે પગે કામે વળગ્યા. માનવ જેનુ નામ લગ્નના ઓઠા હેઠળ કામકાજને ભૂલ્યો ન હતો. તેની નજરમા આવી ગયુ હતુ કે રાકેશ ગોડબોલે વધારે પડતો હોશિયાર છે. સુજાતા ને તેણે સાધી હતી. નિરવ અને રાકેશની દોસ્તીમા વિકાસ ખૂબ ઝડપી થઇ રહ્યો હતો તેની નોંધ તે લઇ ચૂક્યો હતો. તે વિચારતો હતો કે લગ્ન અને મધુરજની પછી પહેલુ કાર્ય તેણે આ વિચારવાનુ છે. લગ્ન રંગેચંગે ઉકલ્યા. આનંદનો સાગર છલકાયો. નિખિલભાઇ, નિતાબહેન ભારે હૈયે દિકરીને વળાવી અને વિદાય થયા. નિરવથી માનવની થતી પ્રશંશા સહન થતી ન હતી પણ તે ચૂપ રહ્યો. આનંદ અને અમીના હર્ષનુ વર્ણન કરવા તેમને શબ્દો જડતા નહોંતા.

માનવ અને નિરાલી મધુરજની માણવા સ્વિટ્ઝર્લેંડ રવાના થયા.

મીઠા જળનું મીન ઉદધીમાં – 4 (પ્રવિણા કડકીયા)

Posted on April 20, 2007 by vijayshah

માનવ અને નિરાલીનો નવો નવો પ્યાર પાંગરી રહ્યો હતો. બન્ને પ્રેમ પંખીડા એક બીજામા ગુલતાન હતા. ખૂબ વ્યસ્ત જિવનમા પણ માનવ સિફતતાથી નિરાલીને મળવાનો સમય ફાળવતો. આજે અભિષેક અને ઐશ્વર્યાનુ ચિત્રપટ જોવા જવાનો કાર્યક્રમ નિરાલીએ ખાસ માનવ ને રીઝવવા ઘડી કાઢ્યો હતો. નિરાલી માનવના પ્યારમા દિવાની બની હતી. પહેલા પ્યારની ખૂશ્બુ એ તો સહજીવનની ઈમારતનો પાયો છે. દસેક પળોમા તૈયાર થતી નિરાળી અડધી ઘડી વીતી ગઈ પણ નક્કી નથી કરી શકતી કે શું પહેરવુ? આખરે જાંબલી રંગના પંજાબી પર નજર ઠરી અને રેશમી દુપટ્ટો નાખી નવા ઊંચી એડીના ચંપલ પહેરી હાથમાં નવુ પાકીટ હલાવતી માનવની રાહ જોવા લાગી.

માનવ જેટલો દેખાવડો હતો તેટલો જ લઘરો પણ હતો. કોઈ અજાણ્યું મળે તો માની પણ ના શકે કે આ લબરમૂછીયા પાસે કરોડો રુપિયા હશે. આજે નિરાલીને ખુશ કરવા સરસ મજાનો તૈયાર થઈ નવી ગાડીમા ઉપડ્યો. અમી ખૂબ ખુશ થઈ. તેના દિલના બધા અરમાન પૂરા કરતો આવો સુંદર દિકરો ભગવાને આપ્યો હતો. માનવ અને નિરાલી એક બીજાને જોઈને અતિ પ્રસન્ન થયા. ચિત્રપટમા સમોસા અને મેંગોલાની મજા માણી. રાતે બહાર જમવુ હતુ તેથી માત્ર નાસ્તા જેવો કર્યુ. માનવ જેનુ નામ, જેને મન માતા અને પિતા ભગવાનથી પણ અધિક તેમના હિતનુ ધ્યાન સદા કાળજે ધરતો. નિરાલી તેના આ ગુણ પર મનોમન વારી જતી. તેને થતુ માનવ ના મમ્મીએ પુત્રને ખૂબ પ્યાર અને સંસ્કાર આપ્યા છે. તેને અમી તથા આનંદ માટે ગર્વ થતો. સામાન્ય રીતે બને તેમજ આવી સુંદર ઘટનાનું લગ્ન જ હોય. આનંદ અને અમી એ એકના એક દિકરાના લગ્ન અખાત્રીજનું શુભ મૂહર્ત જોવડાવી નિરધાર્યા. ભલે દિકરાની વહુ ઘરમા આવવાની હતી. અમી જ જાણે સર્વે સર્વા ન હોય. કોઈ વાતની કમી ન રહેવી જોઈએ. બહારગામ મહેમાનો, સગાવહાલા સર્વે ને નિમંત્રણ પત્રિકા ઓ સમયસર મોકલાવી . સહુથી પહેલુ નિમંત્રણ પ્રભુને. આ બધી તેની તો કૃપા છે એમ અમી તથા આનંદ માનતા. માનવ જરુર એવી કોઈ શક્તિમાં વિશ્વાસ ધરાવતો. તેના પ્રયત્નો, પિતાજીનુ માર્ગ દર્શન અને અગમ્ય શક્તિનો સહયોગ તેના ઉજ્જવલ ભાવિ માટેના કારણ હતા. લગ્ન માનવના અને નીલ સહુથી પહેલો પરિવાર સાથે હાજર થઇ ગયો. તેની મુરાદ બર આવી હતી તેનો ઘટોસ્ફોટ તેણે માનવ પાસે કર્યો. માનવ આ જાણી શીલને ભેટી પડ્યો. આ સુભગ મિલનની નોંધ આનંદ અને અમીએ પણ કરી. લગ્નની ધમાલ પૂર જોશમા ચાલી રહી હતી. ધંધાના મોટા મોટા ધુરંધરોને કંકોત્રીઓ મોકલવામા આવી. રાકેશ ગોડબોલે, સુજાતા, નિખિલ, બધા ખડે પગે કામે વળગ્યા. માનવ જેનુ નામ લગ્નના ઓઠા હેઠળ કામકાજને ભૂલ્યો ન હતો. તેની નજરમા આવી ગયુ હતુ કે રાકેશ ગોડબોલે વધારે પડતો હોશિયાર છે. સુજાતા ને તેણે સાધી હતી. નિરવ અને રાકેશની દોસ્તીમા વિકાસ ખૂબ ઝડપી થઇ રહ્યો હતો તેની નોંધ તે લઇ ચૂક્યો હતો. તે વિચારતો હતો કે લગ્ન અને મધુરજની પછી પહેલુ કાર્ય તેણે આ વિચારવાનુ છે. લગ્ન રંગેચંગે ઉકલ્યા. આનંદનો સાગર છલકાયો. નિખિલભાઇ, નિતાબહેન ભારે હૈયે દિકરીને વળાવી અને વિદાય થયા. નિરવથી માનવની થતી પ્રશંશા સહન થતી ન હતી પણ તે ચૂપ રહ્યો. આનંદ અને અમીના હર્ષનુ વર્ણન કરવા તેમને શબ્દો જડતા નહોંતા.

માનવ અને નિરાલી મધુરજની માણવા સ્વિટ્ઝર્લેંડ રવાના થયા.

 

મીઠા જળનું મીન ઉદધીમાં – 5 (વિજય શાહ)

Posted on April 21, 2007 by vijayshah

 

માનવને અણસાર પણ ન હતો કે એ પાછો આવશે ત્યારે શેર બજાર અફવાઓનું બજાર બની ગયેલુ હશે. નિરવ નો પત્રકાર મિત્ર અનંત કાલે ઇચ્છતો હતો કે માનવ સાથે મુલાકાત થાય અને તે માર્કેટ્ની રૂખ જાણી બે પાંદડે થવાની ઇચ્છા ધરાવતો હતો.તેને પીળુ પત્રકારીત્વ આવડતુ હતુ.તેથી નિરવને હાથો બનાવી તેને માનવની અંગત વાતો જાણવા પ્રયત્ન કર્યો. તેની રોકાણ પધ્ધતિઓ અને શેર દલાલ જયેશ શાસ્ત્રી સાથે તેના સંવાદો જાણવા પ્રયત્ન કર્યો અને એટલી ખબર પડી કે બેંક સાથે સારો ઘરોબો બંન્નેને છે.અને લગ્ન નાં આલ્બમમાં નાણામંત્રી શ્રી શેલત અને જયેશ શાસ્ત્રીને વાતો કરતો ફોટો નિરવની કૃપા દ્રષ્ટીથી લઇ લીધો.અને એ પણ જાણી લીધું કે હનીમૂન પરથી માનવ કયારે પાછો આવે છે…

 

આમ તો કાલેનું છાપુ સાવ નાનુ છાપુ હતુ પણ જે દિવસે માનવ આવવાનો હતો તે દિવસે સમાચાર ફોટા સાથે છપાયા કે માનવ અને નાણામંત્રીની શેરબજારમાં તેજી પકડાવી રાખવામાં સાંઠ ગાંઠ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિન્હ… પોલીસ, શેરબજાર નાં સત્તધીશો, સેબી અને સૌ લાગતા વળગતા નાણા મંત્રીને ત્યાં…જયેશ શાસ્ત્રી ને ત્યાં અને સ્વીટ્ઝરર્લંડથી પાછા ફરેલા માનવને ઉલટ તપાસ માટે પોલીસ સ્ટેશન પર એરર્પોર્ટ થી સીધો લઇ જવાયો. આનંદભાઇ અને અમિ તો હબક જ ખાઇ ગયા. નિરાલી પણ બેબાકળી બની ગઇ. આનંદભાઇ જામીન અપાવી માનવને ઘરે તો લઇ આવ્યા પણ આ તેમને માટે નવું હતુ..કહે છે ને ગુરુત્વાકર્ષણનો નિયમ દરેક જગ્યાએ લાગે છે અને ખાસ કરીને માણસ જેમ ઉંચો ચઢતો થાય તેમ તેને તો તે ભાર વધુ લાગે. જોકે ઉંચે ચઢતા માણસની દ્રષ્ટિ નો વ્યાપ વધે તેમજ તેમને જોનારા પણ વધે. તે સૌ જોનારા મિત્રો જ હોય તેવુ નહિ. તેમા કયુ તત્વ ક્યાં અને કેવી રીતે કામ કરે તે શાંત ચીત્તે શોધવુ જરુરી હતુ.અમિએ તો દિકરાનાં માથેથી ઘાત જાય તેને માટે સિધ્ધી વિનાયક મહાદેવ ની માનતા માની અને ઉપવાસ શરુ કરી દીધા. ઘરે પત્રકારો મિત્રો કુટુંબીજનો અને સબંધીઓનો મેળો હતો. દરેક્ને માનવની વાત અને અને માનવનાં પ્રત્યાઘાતો જાણવામાં રસ હતો. જયેશ શાસ્ત્રી અને તેનો વકીલ પણ ત્યાં હાજર હતો.માનવનાં પ્રત્યાઘાતો એકદમ ઠરેલ વ્યક્તિ જેવા હતા. ” હું મારા હનીમૂન થી હમણા જ આવ્યો છુ અને આ બધી વાતોથી સંપૂર્ણ અજાણ છુ. પણ છાપુ જ્યારે પણ મને શંકાની નજરે જુએ ત્યારે તે શંકા દુર કરવાની અને આ અફવા ફેલાવનારાની સામે કાર્યવાહી કરવાની ભારતિય નાગરિક તરીકે મારી ફરજ અને હક્ક છે.સંપૂર્ણ શોધખોળ કરીને હું મારુ નિવેદન કરીશ. હું એટલુ જરુર કહીશ કે હું અને મારી સાથે જેમને સંડોવવામાં આવ્યા છે તે બધા નિર્દોષ છે.”

બીજે દિવસે અન્ય દરેક છાપામાં માનવનાં ફોટા સાથે વચ્ચેનાં પાનામાં બધાનો રદિયો દેખાયો. નાણામંત્રીનાં કથનમાં તેમને વિના કારણ સં ડોવવાનાં પ્રયત્નોનું નામ અપાયુ. ત્રણેક દિવસ વિત્યા હશેને નિરવનો ફોન નિરાલી ઉપર આવ્યો

“ નિરાલી માનવને છાપાનો માલિક મળવા માંગે છે તો માનવને પુછી જો.”

માનવે તેને બીજે દિવસે તેની ઓફીસ ઉપર મળવા જણાવ્યુ.આનંદ અને માનવને અપેક્ષા તો હતીજ કે થોડોક સમય મૌન રહેવાથી જેમને તકલીફ હોય તેનો સળવળાટ દેખાય જ. થોડુક આશ્ચર્ય એ થયુ કે માનવની પ્રગતિ માનવની પોતાની આવડત થી હતી. ખૈર છાપા વાળાની સાથે વાત કરતા ખબર તો પડશે જ કે કોને ક્યાં અને કેવી રીતનું દુખે છે.

અમિ તેના ધ્યાન રુમ માં પ્રભુ પ્રાર્થનામાં મગ્ન રહેતી અને માનવે તે સમાચારોમાં રહેલા પ્રશ્નાર્થચિન્હ દ્વારા એટલુ તો વિચારી લીધુ હતુ કે જો ખરેખર તેમની વાતોમાં તથ્ય હોત તો આવી છટક બારી ના મુકે. તેને તેના લગ્નનાં ફોટામાંથી આ ફોટૉ પ્રેસમાં કોણે આપ્યો તે જાણવાનુ પણ યોગ્ય લાગતુ હતુ. તે રાત્રે નિરાલી ને પુછ્યુ

“ નિરાલી આપણુ આલ્બમ અને તેના ફોટા તારા ઘરે અને મારા ઘરે હોય શેલત સાહેબ આવ્યા ત્યારે પ્રેસને તો લગ્નમાં ફોટા પાડવાની મનાઇ હતી અને મહીને આ ફોટો આવે તે સમજાતુ નથી. પપ્પાને સહેજ ફોન કરીને પુછી લે ને તે ફોટો એમના અલ્બમમાં છે ખરો?”

નિરાલીને જરા અજુગતુ તો લાગ્યુ પણ કહ્યુ “હું સવારે ફોન કરીને પુછી લઇશ”

વહેલી સવારે સુજાતાનો ફોન આવ્યો “ સર! રાકેશ ને સવારે પુછપરછ માટે પોલીસ આવીને લઇ ગઇ છે. તમે ઓફીસ ઉપર તરત આવો આવકવેરા ના માણસો પણ આવ્યા છે.ત્યાં ડોર બેલ વાગી આવક્વેરાનાં માણસો ઘરે પણ હતા. આનંદ અને માનવ આ તકલીફ આવશે તેમ ધારતા તો હતા પણ આટલી ઝડપે તે ધાર્યુ નહોંતુ.

મી જળનુ મીન ઉદધીમાં – 6 (વિજય શાહ)

Posted on April 22, 2007 by vijayshah

આવક વેરાની તપાસ છાપા આમતો જે લોકોના હિસાબો કાચા હોય તેમને તકલીફદેય હોય છે પણ માનવ તો કયાંય કર ચોરીમાં માનતો જ નહોંતો એટલે એ થોડો નિશ્ચીંત હતો. તેનો સ્ટાફ અને એકાઉંટંટ જાણતા હતાકે આ બધી તકલીફો કો’ક ભળતા કારણોને લીધે છે. પણ કહે છે ને કે તમે ખૂન કર્યુ તેવો સત્તધીશો આક્ષેપ કરી દે પછી તમે નિર્દોષ છો તે સાબીત કરવાનું કામ તમારુ અને ન કરી શકો તો ખૂન ન કર્યુ હોય તો પણ ખૂની જાહેર થઇ જાવ. તેથી બધા જ હિસાબો ખુલ્લા મુકી તેમને કહી દીધુ કે તમે શોધી શકો અને સાબિત કરી શકો તો કરો પણ મારું મંતવ્ય તો તેજ છે અને તે હું નિર્દોષ છું.

ઘર માં, “ગૌરવ” ઉપર અને બેંકમાં સ્થગીતતા લાવી અને સતત 3 દિવસ અને રાત ચેકીંગ ચાલ્યુ. બધા વાઉચરો, ખર્ચ નોંધો અને તેને લગતા બીલો અને આવક નોંધોમાં ક્યાંય તકલીફ નહોંતી. સંસ્કારોની ઝલક આવક વેરાનાં અધિકારીઓને પણ દેખાતી કારણ કે તેની દરેક સખાવતો દ્વારા મળતી કર રાહતો પણ તેણે લીધી નહોંતી તે જો અમલમાં મુકે તો તેણે ભરવા પાત્ર કરમાં તેને વધારાનો કર પાછો મળી શકે તેવી વાત આવી. કદાચ પહેલો કેસ હતો જ્યાં આવક વેરા અધિકારીઓ ની શોધખોળ કોઇ રંગ ના લાવી શકી. છાપા ફરીથી માનવને સત્કારવા લાગ્યા.. આ શોધખોળ દરમ્યાન માનવ ની નજરે બે વાતો સ્પષ્ટ રીતે ઉભરી આવી હતી કે છેલ્લા ચાર મહીનાથી ખર્ચા નું નવુ ખાતુ ઉમેરાયુ હતુ જેમાં મહીનાનાં અંતે બધુ સરભર થઇ જતુ. આ હવાલા ખાતુ ચાલતુ તો હતુ માનવનાં નામે પણ વ્યાજ બદલો મળતો નહોંતો.. નવા વર્ષની આ રકમો હજી ઓડીટ થયુ નહોતું તેથી પકડાઇ નહોતી. નિરાલી આ બધી તક્લીફોમાં મદદરુપ તો નહોંતી જ પણ ધીમે ધીમે તેનો તરવરાટ શમતો જતો હતો. કદાચ તેણે ધારેલુ સુખ તે ધારતી હતી તેટલુ સરળ નહોંતુ. અમીએ આ બદલાતુ વર્તન માપી લીધું. અને માનવને કહ્યું શક્ય હોય તો નિરાલીને અંધેરી તેના ઘરે અઠવાડીયુ જઇ આવવા દે. તેની આ તકલીફો કદાચ આણુ વળાવવાથી દુર થઇ જશે. જુહુ પાર્લાથી કંઇ અંધેરી દુર નહોંતુ છતા રીત રીવાજો નું કંઇક મહત્વ હોય છે. નિરાલી ના પાડતી હતી અને અમિબેન નાં ઉપવાસ ચાલુ હતા તેથી માનવને તે યોગ્ય નહોંતુ લાગતુ છતા નિરાલી ઉપર છોડ્યુ અને નિરાલી સવારે જઇ સાંજે આવી જશે કહીને અંધેરી ગઇ. તેને ખોટુ તો લાગ્યું હતુ કારણકે માનવે નાણામંત્રીનાં ફોટો બાબતે તેના ઘર ઉપર શંકા કરી હતી.સ્વીટ્ઝર્લંડ પરથી પાછા આવ્યા બાદ ઘરમાં શરુ થયેલુ બધુજ તેને ડરાવતુ હતુ. આ બાજુ રાકેશ ગૉડબોલે પોલીસ ઇંસ્પેક્ટર અનવરને ઉલટતપાસ દરમ્યાન એક જ વાત કહેતો હતો સા’બ હમતો જૈસે સા’બ લોગ કહેતે હૈ વોહી કરતે હૈ.. રોજની તેની વાર્તા બદલાય અને ડ્રગ નું કામ માનવસા’બકી જાનકારી સે હોતા હૈ વાળી વાતની રઢ લગાવીને માર સહન કરતો રહ્યો.માનવ પર નાર્કોટીક્સ અને કાયદાકીય પકડ મજબુત થતી જતી હતી. શેર બજાર રોજે રોજ રુખ બદલતુ હતુ અને તેથી માનવનો પોર્ટફોલિઓ પણ ઘટતો જતો હતો. તેની આ કસોટી કાળની ધીરજ જોઇ આનંદભાઇ ક્યારેક હરખાતા અને ક્યારેક ચીંતાતુર પણ રહેતા હતા.ઓફીસમાંથી માનવનો ફોન આવ્યો અને આનંદ્ભાઇ ઓફીસે પહોંચ્યા. માનવ સુજાતા અને રાકેશ ગોડબોલે ની પત્ની તૃપ્તી કેબીનમાં હતા. વાત સાવ સીધી હતી.સુજાતાને તૃપ્તિ મળવા આવી હતી અને રાકેશને જામીન ઉપર છોડાવોની વાત હતી તે વાત દરમ્યાન તે બોલી ગઇ હતીકે રાકેશ વ્યાજ બદલામાં ફસાયો અને નિરવે તેને કહ્યું હતુ કે માનવની હોટલમાં ડ્રગ્ઝ શરુ કરાવતો તે તેને બહાર કાઢશે. માનવને સમજ નહોતી પડતી કે નિરવને પુછવું કે તૃપ્તિની વાત સાચી માનવી.

સુજાતા અને તૃપ્તિને બહાર બેસવાનુ કહી માનવે વકીલને ફોન જોડ્યો. ત્યાં આનંદભાઇએ માનવને રોક્યો. અને કહ્યું હું સાંજે નિરાલીને લેવા જતી વખતે નિખિલભાઇ સાથે વાત કરી લઇશ.તુ રાકેશને ઉલટતપાસનાં માર માં થી બચાવ. થોડીક વાર શાંતી થી બેઠા પછી માનવે તૃપ્તિને બોલાવી અને કહ્યું “રાકેશને તેનો વકીલ આજે છૉડાવી આવશે પણ તારે એટલુ તો એને કહેવુ પડશે કે તે છુટશે અને હું અંદર જઇશ. સાચો ગુનેગાર ભાગતો ફરશે અને હું અંદર ગયા પછી તેને બચાવી નહી શકુ પણ જે ગુનેગાર છે તે તેને મારી નાખશે તો તે જે કહે તેમ કરીયે.” તૃપ્તિ મૃત્યુની વાત સાંભળીને ડરી ગઇ.તે કહે “ ઇસ બાર ઉસે બચાલો સાબ..” માનવ કહે “ તે સાચુ કહેશે તો કાયદો તેને બચાવશે..મારા નામના કારણે તે ઝાઝુ બચી નથી શકવાનો” સુજાતા હોટેલની વીડીયો કેસેટ લઇને આવી અને તૃપ્તિને બતાવી જેમાં રાકેશ ગોરા ઘરાકને ડ્ર્ગ્ઝ આપતા બતાવ્યો.પૈસા લેતા બતાવ્યો અને કહ્યુ કે આ કેસેટ ને લીધેજ તે પકડાયો હતો. રડમસ ચહેરે તૃપ્તિ બોલી “અચ્છા સાબ આપ જો કહેંગે વો કરેગા”

← આશાદેવી-કનક રાવળ

મીઠા જળનું મીન ઉદધીમાં – 8 (ડો. નીલેશ રાણા) →

મીઠા જળનું મીન ઉદધીમાં – 7 (કિરીટકુમાર ગો ભક્ત)

Posted on મે 1, 2007 by vijayshah

નિરાલીએ અંધેરી જઇને સૌથી પહેલા આલ્બમ જોવા માંગ્યુ. પણ આલ્બમ નિરવના રૂમમાં હતુ અને એ ઘરે હતો નહિ.  નીતાબહેને દીકરીને વિવેક કર્યો, “બેટા માનવને અને તેના ઘરવાળા સૌને સાચવજે… હમણા બરોબરની તવાઇ ચાલે છે.”

“ હા અને મમ્મીનાં ઉપવાસ પણ ચિંતાનુ કારણ છે. મને ચિંતા માનવની છે… તે કારણ વિના સંડોવાઇ રહ્યો છે.”

“બધા એવું જ માને છે પણ આ ઉપરા ચાપરી પડતા સરકારી છાપા અને નકારાત્મક પબ્લીસીટી તેની સારી છાપ ને ધોઇ નાખે છે.”

”મમ્મી મને લાગે છે કે ફોટાની બાબતે નિરવભાઇ થી મોટી ભુલ થઇ છે.”

” એટલે? તું શું કહેવા માંગે છે?”

“માનવને એવુ લાગે છે કે અંગત ફોટા બહાર ન જઇ શકે. અનંત કાલે નિરવભાઇ થકી માનવને મળવા માંગતો હતો. તેણે જ અમારા આવવાને દિવસે છાપામાં અર્ધ સંદીગ્ધ સમાચારો આપી આ બધી મુસીબતો પેદા કરી છે તેવુ ન સમજે તેટલો બાઘો માનવ નથી.”

“આ તો મોટી ગેરસમજ છે… નિરવ તો અનંતને માનવ સાથે મુલાકાત કરાવીને બધુ સગે વગે કરાવવા મથે છે… મને તો એવુ સમજાય છે.”

”ના મમ્મી… મને તો નિરવભાઇ એવુ કહેતા હતા કે તે કોઇ મોટા પ્રોજેક્ટમાં માનવને લેવા માંગે છે, પણ માનવે ના કહી હતી કે ‘સગામાં પૈસા આપ્યા એટલે કાં સગુ જાય કે પૈસા.. મારે તેવુ નથી કરવુ.’ ”

નીતાબેનને માનવનો આ જવાબ વિચિત્ર લાગ્યો અને નિરાલીને કહ્યું, “તેના એક્ષ્પોર્ટ અને ઇમ્પોર્ટનાં કામમાં પૈસો બહુ છે અને નિરવ બનેવીને વાત કરે તેમા અજુગતુ શું છે?”

સાંજે જ્યારે નિરાલીને ઘરે જવાનો સમય થયો ત્યારે નિરવ આવ્યો અને આલ્બમ જોવા માંગ્યુ ત્યારે બહુ ચર્ચીત ફોટૉ આલ્બમ માં હેમખેમ હતો તે જોઇને નિરાલી ને ટાઢક વળી. તેણે નિરવને પુછ્યુ “આ અનંત કાલે માનવને શું કામ મળવા માંગે છે?”

નિરવે કરડાઇ ભરી નજરે પહેલા નિરાલી સામે જોયુ અને બોલ્યો, “છાપાવાળા સાથે દુશ્મની કે દોસ્તી બંને નકામી. શીવાજી પાર્કનો એક નંબરનો ગુંડો છે તેને થોડુક પત્રં પુશ્પમ કરીને કે તે જે માંગે તે તેને આપી આ ઝંઝટમાંથી માનવને કાઢવા મેં સમય લીધો અને માનવ મળી ના શક્યો.”

”નિરવભાઇ, મને તો તમારા બધા જ ભાઇબંધો થી બીક લાગે છે. મહેરબાની કરી તેનો છાલ છોડાવો.”

ત્યાં ડોર બેલ વાગ્યો..ઇંસ્પેક્ટર અનવર નિરવને પોલિસ સ્ટેશન પુછપરછ માટે લઇ જવા આવ્યા હતા. નિરવ વોરંટ જોઇને બોલ્યો, “નિરાલી માનવે આ વોરંટ કઢાવ્યુ છે. એ શું સમજે છે તેના મનમાં” અને ગંદી ગાળો બોલતો બોલતો તે પોલીસ ઇંસ્પેક્ટર સાથે જવા તૈયાર થયો.

***

ઘરે જતા જતા નિરાલીની આંખમાંથી પાણી ખુટતુ નહોંતુ. તે માની શકતી નહોતી કે માનવ નિરવ વિરુધ્ધ સમંસ કાઢતા કે કઢાવતા તેને પુછવાને જરૂરત ન સમજી? તેનો મગજનો પારો તો સાતમા આસમાને હતો કારણ કે તેને લાગતુ હતુ કે માનવ જે વિચારે છે તે ખોટું છે. ઘરે દાખલ થતા તેણે તેના મન ને શાંત થવા દીધુ અને ડુમો બેસી જવા દીધો, પછી ગાડીમાંથી બહાર નીકળી. ઘરમાં બધુ સ્મશાનવત શાંત હતુ. તેમના રુમમાં માનવ કોમ્પ્યુટર ઉપર કામ કરતો હતો.

નિરાલી એકદમ ગુસ્સે થતી બોલી-“નિરવભાઇ ઉપર સમંસ કઢાવતા મને પુછવાની જરુર ન લાગી ? હું ઘરે આલ્બમ જોઇને આવી છુ ત્યાં ફોટો હેમખેમ અને સલામત છે. નિરવભાઇએ તે ફોટો નથી આપ્યો.”

માનવે તેના તરફ લાગણીથી જોઇને કહ્યું.” તું ધીરજ થી બે મીનીટ બેસ, હું તને બધુ સમજાવુ છું”

પણ નિરાલી લઢી લેવાનાં મુડમાં હતી તેને ખરેખર બહુ લાગી આવ્યુ હતુ. તે માની નહોતી શકતી કે નિરવને પોલીસ સ્ટેશન લઇ જવામાટેનું સમંસ માનવે કઢાવ્યુ હતુ. માનવ કહેવાની તૈયારી કરતો હતો ને નિરાલીએ પોક મુકી તેથી અમિબેન અને ઘરનાં નોકરો દોડી આવ્યા “શું થયુ?” “શું થયુ?” કરતા.. માનવે પાણી લાવવાનુ કહ્યું અને નિરાલીને શાંત પાડવા મથતો રહ્યો.

ખામોશી અને ડુસકાનું સામ્રાજ્ય અર્ધો કલાકે શમ્યું ત્યારે માનવે નિરાલીને કહ્યું, “તને ખબર છે? નિરવભાઇનાં એક્ષ્પોર્ટ અને ઇમ્પોર્ટનાં ધંધામાં એક ધંધો ડ્રગ્ઝનો પણ છે?”

નિરાલી સાશંક માનવ સામે જોઇ રહી, તેથી માનવે હોટેલની કેસેટ વીડીયોમાં મુકી અને કહ્યું, “જો, આ પ્રવૃત્તિ આપણી હોટેલમાં રાકેશ સાથે નિરવે કરાવી છે તેથી તેના ઉપર શંકાનાં આધારે પુછપરછ માટે લઇ જવાયો છે. મેં સર્ચ વોરંટ એટલા માટે કઢાવ્યું કે શેલત સાહેબને જાણ થઇ હતી કે આજે ભાઇ લોકોમાં તેના નામે સોપારી લેવાઇ છે.. તેનો જાન જોખમમાં છે.”

શોકમગ્ન દશામાં લગભગ અબોલ થઇ નિરાલી માનવને તાકી રહી. તેને કોનો વિશ્વાસ કરવો તે સમજાતુ નહોતુ…

મીઠા જળનું મીન ઉદધીમાં – 8 (ડો. નીલેશ રાણા)

Posted on મે 4, 2007 by vijayshah

સત્ય અસત્યનું પારખું કરવા નિરાલી ત્રાંસી આંખે માનવને  જોઈ રહી. તેની અંખોમાંથી ગુસ્સો નિતરી રહ્યો હતો. પણ માનવનો ચહેરો પૂનમના ચંદ્ર જેવો સ્વચ્છ હતો.માનવ નિરાલીને સમજાવી રહ્યો હતો‘ નિરાલી હું તારા ભાઈનો દુશ્મન નથી‘. નિરાલી દ્વિધામાં પડી એક તરફ માજણ્યો ભાઈ મુસિબતમાં— બીજી તરફ એને મુસિબતમાં  મૂકનાર એનો પ્રાણથી પ્રિય પતિ માનવ— મધ્યમા વહેતી પોતે– હવે કયે કિનારે જવું એની વિમાસણમાં ખામોશ ઉભી રહી.

નિરવને તે જન્મથી જાણતી હતી. જેણે કદી સિગરેટનૉ દમ પણ લીધો ન હતો. એ,એનો માજણ્યો ભાઈ અફીણ ચરસ અને ગાંજાનો ધંધો કરે? છી છી આ કોઇકે ઉપજાવી કાઢેલી વાત છે. કદાચ આ કોઇક્ની ચાલ હશે, નિરવને ફસાવવા માટેની. રાકેશ સાથે ભળી જઈ ‘ગૌરવ‘માં વિડિયો ઉતારી લાગે છે. સાળા ને માથે આળ ચઢાવી મને પોતાના પક્ષમા રાખવાનો તેનો ઇરાદો સફળ નહીં થાય. હું ખામોશ નહી રહું. ભિતર સળગતા અગ્નિથી માનવ જલી ન જાય માટે એણે પાંપણો બંધ કરી દીધી.

નિરાલીના ખભે હાથ મૂકી પ્રેમસભર સ્વરે માનવ બોલ્યો,‘પ્રિયે,  હજુ તું મને શંકાની નજરે નિહાળે છે? હું તારા ભાઈની સલામતી ઈચ્છું છું. ચરસ ગાંજાનાં ધંધાની એકજ દિશા છે. તેમાંથી પાછું ફરવું શક્ય જ નથી. તેમાં અંદર જીવતા જવાનું, બહાર આવે તમારી લાશ. એમાંય “ભાઈ” લોકોને અપાયેલી સોપારી. તેનો અંજામ પોલિસની હાથકડી અને જેલ. એના સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી.‘    નિરાલી બેધ્યાન પણે સાંભળી રહી. માનવને તે શંકાની નજરે જોતી  હોવાથી અવિશ્વાસ સળવળી ઉઠતો.એક તરફ લોહીની સગાઈ તો બીજી તરફ પ્રેમની. બે સખત પરિબળો વચ્ચે તે ભિંસાઈ રહી.શું બોલવું તે ન સુઝવાથી માનવનો હાથ ખભેથી સેરવી અસમંજસ મા મોઢું ફેરવી ગઈ.

રાત્રિના ભોજન દરમ્યાન મુખના ભાવ પ્રકટ ન થવા દીધાં. સાસુ સસરાની આમન્યા જાળવી અને જાણે કશું જ બન્યું નથી તેવો અભિનય કર્યો. રાત્રી ટાણે છેલ્લા સમાચારમાં ફરીથી નિરવની ધરપકડના સમાચાર સાંભળી નિરાલી ગમગીન થઈ ગઈ. નિરાલીને બાહોંમાં લેતા માનવ કહી રહ્યો  ‘નિરાલી મારો વિશ્વાસ કર, મારી પણ નિરવને બચાવવાની કોઈ જવાબદારી ખરી કે નહી? એને સાચા માર્ગે લાવવા મારે તારી મદદ જોઈશે.‘ માનવની શાબ્દિક અભિવ્યંજના નિરાલીના મનને શાતા ન આપી શક્યા. આખી રાત બંને જણા બંધ આંખે જાગ્યા. માનવને આશા હતી નિરાલી માનવના મંતવ્યને સમજી સહકાર આપશે. તેનો ઇરાદો નાણામંત્રી શેલતની સહાય માગવાનો હતો. રાજકરણીયો શું નથી કરી શકતા?” નિરાલી હજુ માનવ પ્રત્યે શંકાશીલ હતી. એની ચાલ સમજવામાં નાકામયાબ રહી. પતિ પત્ની વચ્ચે વહેંતનું અંતર ઊંડી ખાઈ બની ચૂક્યું હતું. મીઠા જળના બે મીન છુપા આંસુ વહાવી ઉદધીની ખારાશ વધારી રહ્યા હતા.

સવારે નાહી ધોઈને તૈયાર થયેલો માનવ નિરાલીને પ્રેમથી પૂછી રહ્યો હતો.  ‘હું નાણામંત્રી શેલત ને મળવા જવાનો છું તું પણ મારી સાથે ચાલ.‘ ‘કેવી લુચ્ચાઈ કરે છે મને સાથે લઈ જવાને બહાને પૂરવાર કરવા માંગે છે કે હું તેની  સાથે છું‘ નિરાલી સ્વગત બબડી રહી. ‘હું સચ્ચાઈના પક્ષમાં છું.‘

માનવને દાદ ન આપતા રસોડા તરફ ચાલી નિકળી. અમી ને ચા નાસ્તાની તૈયારી   કરતાં જોઈ. ‘મમ્મી, તમે બહાર બેસો હું ચા નાસ્તો લઈને આવું છું તમે ઉપવાસી છો.‘

બહાર નીકળીને માનવ પાસે જઇ તે પ્રેમ થી બોલી.  ‘નાસ્તાના સમયે છાપું? માનવ પછી વાંચજો. ચા ઠંડી થઈ જશે.‘ચા ઠંડી ભલે થઈ જાય પણ નિરાલીની ચાહ ઠંડી પડે એ તેને મંજૂર ન હતું. નાસ્તાને ન્યાય આપતા માનવે ફરીથી વાત છેડી. ‘પાપા નિરવને બચાવવા આપણે કોઈ સારો વકીલ રોકવો પડશે.  નાણાંમંત્રી શેલતને  અને ઇંસ્પેક્ટર અનવર સાહેબને પણ આજે મળી લઈશ’.માનવની વાતને સમર્થન આપતાં આનંદે કહ્યું ‘ તારી વાત સાચી છે. નિરવ આપણા ઘરની વ્યક્તિ છે. આપણે તેની સાથે છીએ. અમી બોલી પડી ‘ આપણે તેના ભલાની ખેવના કરીએ છીએ એ વાત તે માનશે ખરો?” આનંદે સૂર પુરાવ્યો, તારી મમ્મીની વાત સાચી છે. નિરાલીના સહયોગથી તે બનવું આસાન થઈ જશે. વાક્ય પૂરુ થાય તે પહેલા નિરાલી આંસુ છુપાવતી બીજા રુમમાં જતી રહી.

અમી માનવ અને આનંદને નિરાલી સાચવવાનું કહી, નિરાલીના માતાપિતાને ઘરે લાવવા માટે ગાડીમાં રવાના થઈ ગઈ. તેને શ્રધ્ધા હતી કે બધો ખુલાસો  કરી નિરાલી તથા તેના માતાપિતાનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળતા પ્રાપ્ત  કરશે.

આવનાર ક્ષણમાં શું બનશે તેની વિધાતાને જ ખબર છે!

 

મીઠા જળનું મીન ઉદધીમાં – 9 (પ્રવિણા કડકીયા)

Posted on મે 6, 2007 by vijayshah

ગાડી જ્યારે નિખિલભાઈને આંગણે આવીને ઉભી રહી ત્યારે અમીને સમજાયું કે વાતની શરૂઆત કેવી રીતે કરીશ.  અશક્તિ જણાતી હતી પણ કોઈને કળવા દેતી નહી. ખૂબ સંયમ  જાળવવામાં તે કામયાબ રહી. લગ્નના મેળાવડામાં તે નાણામંત્રી  શેલતને તથા અનવર સાહેબને પણ મળી હતી. એને ગળા સુધી વિશ્વાસ હતોકે આ બધા નો ઉપયોગ કરી નિરવને કમસે કમ જેલમાંથી તો બહાર કઢાશે. ઓળખાણ એ મોટામા મોટી ખાણ છે.

અમી પ્રેમાળ સ્વભાવની ઓછાબોલી સ્ત્રી હતી. નિરાલી નવી નવી પરણેતર હજુ કુટુંબમાં બધાને મળે અને પરિચય કેળવે તે પહેલા જ મુશ્કેલ સંજોગોનું આગમન. વાતાવરણ હળવું કરવું જરા મુશ્કેલ કાર્ય હતું. અમી મનોમન પ્રભુને વંદી રહી, હે પ્રભુ બધુ સમુસુતરું પાર પડશે તો સહકુટુંબ  જાત્રા કરવા જઈશું. મન મક્કમ કરીને ગાડીમાંથી બહાર આવી દરવાજે  આવીને ઉભી રહી. હજુ ઘંટડી વગાડે તે પહેલાં જ બારણું ખૂલી ગયું.

નીતાબહેને બારીમાંથી તમને આવતા નિરખ્યા હતા.  અમીએ પ્રેમભરી વાણીથી નિખિલભાઈ અને નીતા બહેનને વિશ્વાસમાં  લીધાં. જરા પણ ફિકર નહી કરવાનું વચન આપ્યું. આનંદ અને માનવનો સંપૂર્ણ સહયોગ તથા સહાનુભૂતિ દર્શાવ્યા. સારામા સારો વકીલ રોક્યો છે તે   જાણી નિરાલીના માતાપિતાના મનની શંકાનુ સમાધાન કર્યું.  નીતા બહેનને અમીની ખાનદાનીના દર્શન થયા. ઘડીભર ભૂલી ગયા કે આ બધુ ઉપાસણ  એમના દિકરાને કારણે જ થયું છે. છતાંય ક્યાય કડવાશ નથી. તેને બદલે માત્ર મિઠાશ વરતાય છે. મીઠા જળ ભલેને દુષિત થાય પોતાના ગુણધર્મ  ત્યજતા નથી. વાતવાતમા અમીએ નિરાલીનો ઉલ્લેખ કર્યો. નીતા બહેન  બોલી પડ્યા ‘અમીબહેન તમે બે ફિકર રહેજો, નિરાલીને સમજાવવાની હું   જવાબદારી મારે શીરે લઉં છું.’ કહીને એક પળના વિલંબ વીના નિરાલી સાથે ફોન ઉપર વાતે વળગ્યા. ‘નિરાલી બેટા, તું જરાયે ગભરાઈશ નહી. માનવ તથા આનંદભાઈનો સંપૂર્ણ સહકાર છે. તારા ભાઈલાનો વાળ પણ વાંકો  નહી  થાય. માએ આશા બંધાવી. નિરાલીને માની વાત શીરાની જેમ ગળે ઉતરી  ગઈ.

ખેર, અચાનક નિરાલીમા ફેરફાર થયો. જે અમી બહેન જોઈ ન શક્યા પણ  નીતા બહેનની વાતથી અનુભવી જરૂર શક્યા. અમી બહેનની સહજતા અને સાલસતાની સુગંધ વાતાવરણમાં પ્રસરી રહી. હવે અમીને અંહી ઝાઝું ઉભા  રહેવાની જરૂરિયાત ન જણાતા ઘરે જવાની રજા માંગી.  બીજા દિવસે તેમને બંગલે આવવાનું ભાવભર્યું નિમંત્રણ આપી વિદાય માંગી.  ગાડીમા બેસતા પ્રભુને વંદી રહી. સીધી ગાડી મંદિરે લઈ જવાની દોરવણી આપી હાશકારો અનુભવી રહી.  શયનના દર્શનનો સમય હતો. મંદિરે બે કિરતન કર્યા.

માનવ અને નિરાલીના નામે રાજભોગ સેવામાં લખાવ્યો. ગાડી તરફ પાછી ફરી ત્યારે તેનું હૈયું હળવું ફૂલ સમાન હતુ.  મનોમન નક્કી કર્યું કાલે પારણા નિરાલીના શુભ હસ્તે મોસંબીનો રસ પીને કરીશ. તેનું મનૉબળ જબરું હતું. ભગવાને તેને  કઈ માટીમાંથી ઘડી હતી. ઘીના ઠામમાં ઘી પડી રહેશે તે આશાએ તે દિવા સ્વપ્ન માણી રહી હતી.

ગાડી ઘર તરફ સરકી રહી હતી. સહુ રાત્રીના ભોજન દરમ્યાન હસીને કલ્લોલ    કરતા હોય એવુ મધુરું દ્રશ્ય તેની નજર સમક્ષ તરવરી રહ્યું હતું. નિરાલી માનવ સાથે ગોઠડી કરી રહી હોય તે ભાસ્યુ. અમી અને આનંદ એક બીજાના સાન્નિધ્યમાં  જીવનની ધન્યતાનો અનુભવ કરી રહ્યા હતા. અમી પરમાનંદમા ડૂબી ગઈ હતી.   માનવ નિરાલીના લગ્ન પછી આજે પ્રથમ વખત તેને લાગણી થઈ આવી કે તેનું  જીવન પ્રભુએ ખૂબ ભર્યું ભર્યુ બનાવ્યું હતું. તેને જીવનમાં કદીયે કશી ખોટ જણાઈ ન હતી. ઘર તરફ ગાડી પાણીના રેલા સમ સરકી રહી હતી. બસ ઘર હવે આવ્યું   કે આવશે ત્યાંતો ભયંકર ચીં અવાજ સાથે ગાડી ઉભી રહી ને અંદરથી અમી દડાની  જેમ ઉછળીને બાજુમાં જતી બસની સાથે અથડાઈ…….

મીઠા જળનું મીન ઉદધીમાં – 10 (પ્રવિણા કડકીયા)

Posted on મે 9, 2007 by ઊર્મિ

ગાડી ભટકાઈ અને ગોળ ફરી ગઈ. અમીને તો આમાંનું કશું જ ખબર  ન પડી. એ તો ગાડીમાંથી ઉછળીને બહાર ફેંકાઈ, બાજુવાળી ગાડીએ  બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો પણ એમાં જરાક મોડું થઈ ગયું. બસ, ત્યાંને ત્યાં જ ખેલ ખતમ થઈ ગયો. મર્સીડિઝ ગાડી હતી તેથી પૈસાવાળા હતા તેવુ માનવ મેદનીને લાગ્યું.  શું થયું? કોણ છે? એ જોવા માટે ટોળુ મોટું થતું ગયું.  દસેક મિનિટ પછી પોલિસ આવી પહોંચી. બધાને ઘટના સ્થળેથી  દૂર ખસાડ્યા. વાહન વ્યવહાર બધો જ થંભી ગયો હતો. ગાડીનો ડ્રાઈવર બેભાન હાલતમાં હતો. પોલિસે કારાવાહી ચાલુ કરી. ખબર પડી કે આ ગાડી તો માનવ મોદી નામના મોટા ઉદ્યોગપતિની છે.  અનવર સાહેબને ખબર કરવામાં આવી. તેઓ પોતે માનવની ‘ગૌરવ’ ઉપર જઈ ચડ્યા.

આનંદભાઈ અને માનવ બંને વિમાસણમા પડી ગયા.  સાહેબ અત્યારે ક્યાંથી? તેમનું મોઢું જોઈને બંને જણા સાથે બોલી ઉઠ્યા, ‘ સાહેબ તમે, અત્યારે, અહીં? અનવર એક શબ્દ પણ બોલી ન શક્યા.  આંખમાંથી આંસુ નિકળી પડ્યા. ધીરે રહીને કહે ખૂબ આઘાતજનક વાત  બની ગઈ છે. ધીરે રહીને વાત બતાવી. આનંદભાઈ અને માનવ પથ્થરના પૂતળાં બની સાંભળી રહ્યા. કેવી રીતે, ક્યાં કશું જ પૂછવાના હોશકોશ પણ ગુમાવી બેઠાં. આખરે અનવર સાહેબે મૌન તોડ્યું. બંનેને ઘટના સ્થળે લઈ આવી પહોંચ્યા. નિરાલીને ઘરે લેવા એક હવાલદારને ગાડી લઈ રવાના કર્યો.  આનંદભાઈ, માનવ અને નિરાલી કશુંજ બોલવા ચાલવાની સુધબુધ ગુમાવી બેઠા હતા. દ્રશ્ય જોઈને તેઓ ખૂબ વ્યથિત થયા. અમી આવી રીતે તેમનો સાથ ત્યજી દેશે તેમના માનવામાં આવ્યું નહી. આનંદ અને અમી એકબીજાનો સહવાસ ત્રીસ વર્ષથી માણી રહ્યા હતા. માનવને મન સ્વર્ગ જે માનાં ચરણોમાં હતુ, એ મા હવે કદી જોવા નહી મળે.  કુદરતે આ કેવી સજા ફટકારી. કદાચ અમીના નસીબમાં આટલું જ જીવન લખાયું હતું. નિખિલભાઈ અને નિતાબહેન આવી પહોંચ્યા. હજુ કલાક પહેલા તો તેઓ સાથે હતા, અચાનક આ શું થઈ ગયું.  નીતાબહેન તો અમીબહેનની વાત કરવાની છટા ઉપર મુગ્ધ થઈ ગયા હતા. ૫૦ વર્ષની ભર જુવાનીમાં આવું કરૂણ મૃત્યુ?  ઈશ્વર આ ક્યાંનો ન્યાય!! નિખિલભાઈએ વાતનો દોર પોતાના હાથમાં સંભાળી લીધો.  પોસ્ટમોર્ટમ ન કરવું પડે તેની તકેદારી લેવાઈ. એક શિખાઊ નવો નવો ગાડી ચલાવતો હતો. એણે સિગ્નલ લાલ થયું છતાં ગાડી ઉભી ન રાખી અને અમીબેને જાન ખોયો. આનંદભાઈએ પોતાની જાત ઉપર સંયમ દર્શાવ્યો. ક્રિયાપાણી સર્વે  કર્યાં. કોઈ વાતની કશી કમી ન રાખી. ગરીબોને ભોજન કપડાંથી માંડી તેમના બાળકોનાં શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. ગામમાં શાળા બંધાવવાનું નક્કી કર્યું. જરૂરિયાતવાળાને સસ્તા ભાવની દવાઓ, વિ. વિ. વિ.—

ખરી પરીક્ષાતો નિરાલીની હતી. પિતા આનંદ અને પતિ માનવ બંનેને ફૂલની જેમ સાચવતી. માનવ તો જાણે નિરાધાર થઈ ગયો. ભલું થજો અમીબહેનનું કે જતા પહેલા વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું. આનંદભાઈ હંમેશા વિચાર વમળમાં ફસાયેલા રહેતા. નિરાલી બંનેનું ધ્યાન રાખવામા કુશળ નીવડી.  કાળજી અને વહાલભરી માવજતથી આનંદભાઈએ હોશ સંભાળ્યો. જો બંને જણા ભાંગી પડશે તો આખું તંત્ર ખોરવાઈ જશે. માનવને મન કશું જ ગમતું નહીં. નિરાલીએ તેના પ્યારની હુંફ આપી, તેને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરી. થોડો વખત અમીબહેનનું સાંનિધ્ય માણ્યું હતું તેની હરપળ યાદ કરી કરીને પગલાં ભરતી. પિતા આનંદભાઈ ના હૈયાને ઠેસ ન પહોંચે તેનું ખૂબ ધ્યાન રાખતી. માનવને ધીરે ધીરે પોતાની લાગણી અને પ્રેમથી વશમાં કરી વિશ્વાસ જગાવ્યો.

સમયને જતાં ક્યાં વાર લાગે છે. એતો હંમેશા સરતો રહેવાનો.  કાળ કદી બંધાતો નથી. ફરી વકીલસાહેબ અને ઈન્સપેક્ટર અનવર સાથે આવ્યા અને તેમનું પ્રયોજન માનવ તરત સમજી ગયો. નિરવને—-

 

મીઠા જળનું મીન ઉદધીમાં – 11 (ઊર્મિસાગર)

Posted on મે 13, 2007 by ઊર્મિ

નિરવને તો માનવ કે’દાડનો છોડાવી શક્યો હોત, પરંતુ ‘ભાઇ’ લોકોથી એને બચાવવા એના જાનની સલામતી માટે જેલથી ઉત્તમ બીજી કોઇ જગા ન હતી એમ એ માનતો હતો. જેલમાં પણ માનવે એની સલામતીનાં કડક પગલાં લેવડાવ્યા હતા. અને ઉચ્ચ-ઓફિસરો સાથે ચર્ચા-વિચારણા પર કરી લીધી હતી કે નિરવ જો ‘ભાઇ’ લોકો વિશે એમનો બાતમીગાર બની જશે તો એની સજા નહિવત્ થઇ શકે એમ છે. આ બધી વાત એણે નિરાલીને આગળ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો જ હતો, પણ ત્યારે એ માનવની નજરે આ બધું જોઇ શકી ન’હોતી. પરંતુ હવે, વાત કાંઇ જુદી જ હતી.

અમીબેનની મમતા અને એમની ઉદારતાના જે દર્શન નિરાલીને છેલ્લે છેલ્લે થયા હતા… એને લીધે હજુ પણ ક્યારેક એ પોતાને ગૂનેગાર મહેસૂસ કરતી રહેતી હતી… કાશ, જો પોતે આટલી કઠોર ન બની હોત અને માનવમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી એને સાથે આપ્યો હોત, તો ન તો મમ્મીને એનાં માતા-પિતા સાથે વાત કરવા ત્યાં જવું પડત, ને ન તો એક્સિડંટ થાત, ને ન તો… પણ, એની આંખનાં એ આંસુ ક્યાંક પપ્પા કે માનવ જોઇ ન જાય એમ એ ફરી સ્વસ્થ થઇ જતી. અને એ બંનેને કોઇ વાતનું ઓછું ન આવે કે એનાં વર્તનથી ક્યાંક એમને કોઇ દુ:ખ ન થાય એનું ખાસ ધ્યાન રાખતી. પરંતુ અમીબેનની ખોટ ક્યારેક બધાનાં મૌનમાં પણ વર્તાઇ આવતી હતી.

જેલમાં નિરવને પોતાના દુષ્કૃત્ય વિશે વિચારવાનો ઘણો સમય મળ્યો હતો. જેલમાં પણ શરૂ શરૂમાં માનવ ઉપર ધૂંવાપૂવા થતો રહેતો નિરવ ધીમે ધીમે સ્વસ્થતાથી વિચારતો થયો હતો. આ બધું કોના લીધે થયું હતું? અને એ પણ શા માટે? આખરે એને શું મળ્યું હતું? અને જો એ ન પકડાતે, તો પણ એને શું મળવાનું હતું? કોઇ તો ભલે ગમે તેટલાં ખોટા માર્ગે દોરવવાનો પ્રયત્ન કરે, પરંતુ પોતે કેવો કે કોઇનો દોરેલો પણ દોરવાઇ જાય? નિરાલી તો એની સૌથી વ્હાલી હતી… નાનપણમાં શેરીનાં કોઇ છોકરાની હિંમત ન’હોતી કે નિરાલીની છેડતી કરે… એવી ધાક હતી. શીલ અને એ- બંને કેવા એની ઢાલ જેવા રહેતા હતા! કોઇની મજાલ હતી કે નિરાલી તરફ આંખ પણ ઊંચી કરે? અને આજે? આજે માનવને નુકશાન પહોંચાડીને એ જ નિરાલીનાં જીવનમાં એણે તોફાન મચાવ્યું? ક્યાં ચાલી ગઇ એ બધી લાગણીઓ? બહેનની બાંધેલી અગણિત રક્ષાઓની લાજ પણ ન આવી એને? શીલ પણ જેલમાં મળવા આવ્યો’તો ત્યારે એણે એવું જ સમજાવવાનો પ્રયત્ન કરેલો. પણ પોતે ક્યાં એને સાંભળવાની પણ પરવા કરી હતી?!! પરંતુ હવે જે થઇ ગયું એ થઇ ગયું હતું… એને ક્યાં કાંઇ બદલી શકાય એમ હતું!! કાશ, જિંદગીનું પણ કોઇ રીવાઇંડ બટન હોત… નિરવનાં હૈયામાં વહેતું થયેલું પસ્તાવાનું નાનું ઝરણું હવે આટલા સમયમાં ધીમે ધીમે નદી બની ચૂક્યું હતું…

ઘરમાં નાનપણથી એને મળેલી આટલી બધી છૂટો આખરે એને જ ભારે પડી હતી, એ એને સમજાઇ ગયું હતું. વળી, સૌથી દુ:ખની વાત એ હતી કે સમાજમાં ઊંચા મસ્તકે ફરતા પોતાના જ મા-બાપનાં મસ્તકોને એણે નીચા કરી દીધા હતા… આ ઉંમરે મારે એમની ફિકર કરવી જોઇએ, એની જગ્યાએ આજે પણ એ મારી ફિફર કરે છે. પોતાની વહાલસોયી બહેનનાં ઘરમાં જે મુશ્કેલીઓ એણે ઊભી કરી, એણે જ માનવની મમ્મીનો ભોગ લીધો હતો. પણ હવે શું થઇ શકે એમ હતું?? ‘અબ પછતાવે હોત ક્યા, જબ ચિડીયા ચુગ ગઇ ખેત?!’

પરંતુ થોડા દિવસો પહેલાં જ એના મનનાં આ બધા સવાલોનો જવાબ ઇંસ્પેક્ટર અનવરે એને આપી દીધો હતો…. જ્યારે એ નિરવને કહેવા આવ્યા હતા કે જો એ ‘ભાઇ’લોકોનો બાતમીગાર બની જશે અને એમનાં વિશે જાણકારી આપશે તો એની સજા નહિવત થઇ જશે…. ઉપરાંત, પોલીસ એને રક્ષણ પણ આપશે અને એને પૂરી મદદ પણ કરશે. નિરવને વિચાર્યુ કે ખતરો તો બંને બાજુ છે જ, પરંતુ આ વખતે એ સચ્ચાઇને જ સાથ આપશે.. અને કાંઇ ખોટું નહીં કરે તેમ જ માનવનાં નામ અને એના વિશ્વાસને એ આ વખતે બિલકુલ આંચ નહીં આવવા દે.

એ જ શુભ સમાચાર લઇને ઇંસ્પેક્ટર અનવર આજે માનવનાં ઘરે આવ્યા હતા… એમણે કહ્યું કે નિરવને એ સાથે લઇને જ આવ્યા છે અને બહાર જીપમાં જ છે. નિરાલી તો ખુશીથી ઉછળી પડી… અને ભાઇને મળવા બેબાકળી થઇને બહાર દોટ મુકી… ખુબ પ્રેમથી મળેલાં ભાઇ-બહેન ઘણા વખતે જાણે ફરી બાઅળકો બની ગયા હોય એવું લાગ્યું. નિરવે નિરાલીની માફી માંગી… નિરાલી એને હાથ પકડીને ઘરમાં લઇ આવી. નિરવે આનંદભાઇને પગે લાગી પછી માનવને પણ પગે લાગવા નીચે નમવા ગયો કે તરત જ માનવે એને પકડી લીધો… નિરવથી કંઇ બોલાયું નહીં પરંતુ એની આંખનાં અશ્રુઓ બધું જ કહી રહ્યા હતા…

“હા, પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગેથી ઊતર્યુ છે… ” કલાપીની પંક્તિઓને નિરવે આજે સાર્થક કરી હતી.

મીઠા જળનું મીન ઉદધીમાં – 12 (નીલમ દોશી)

Posted on મે 16, 2007 by nilam doshi

‘ઓહો.!! શું જુઓ છો?હજુ આ ભજિયા તો એમ જ પડયા છે..!! હજુ ખાધા નથી?”

ક્ષણોને ભીની કરી જતો,અંતરને અજવાળી જતો આ ટહુકો ફરી એકવાર કયાંથી છલકયો? અમી….આ તો અમી નો જ અવાજ…એના જ શબ્દો…! પણ કયાંથી?કેમ? બગીચામાં ખુરશી પર બેસી બંધ આંખે વહી ગયેલ અતીતની મીઠી યાદોમાં ખોવાયેલ આનંદભાઇના કાનમાં ..કે પછી મનમાં ટહુકો ગૂંજયો. વરસાદી સાંજે પોતે બગીચામાં બેઠા હોય..સામે ગરમાગરમ ભજિયાની પ્લેટ પડી હોય અને પોતે ખાવાનું ભૂલીને અમીની આંખમાંથી છલકતા સ્નેહઅમી ને માણી રહ્યા હોય…ત્યારે અમી કૃત્રિમ ગુસ્સાથી હમેશા આ શબ્દો બોલી ઉઠતી.”હજુ ભજિયા તો એમ જ પડયા છે…”

આજે પાંચ વરસ બાદ ફરી એ જ અવાજ..એ જ શબ્દો..એજ લહેકા સાથે કયાંથી સંભળાયા?મીઠા જળની માછલી ખારા દરિયામાં આવી જતાં તરફડી રહે એમ આનંદભાઇ અમી ની યાદે તરફડી રહ્યા. એ ચોંકી ઉઠયા.કેમકે ફરી એકવાર એ શબ્દો તેના કાને અથડાયા..ના,કાને જ અથડાતા હતા..મનમાં નહીં. પળ,દિવસ,વરસની વણથંભી વણઝાર ..સ્મૃતિઓથી છલોછલ હતી.

જિંદગીનો સાચો પડઘો છે, હોય ના વ્યક્તિ,ને એનું નામ બોલાયા કરે

હા,અમી નું નામ પણ મનઝરૂખામાં સ્મરણોની મેના બની સતત ગૂંજી રહ્યું હતું.કાળનો પ્રવાહ એ યાદને ઝાંખી નહોતો કરી શકયો.મોતી જેમ છીપમાં બંધ રહે તેમ અમી આનંદની હ્રદયછીપમાં સ્મૃતિરૂપે અકબંધ સચવાયેલ હતી.ઘરમાં માનવ,નિરાલી..કોઇ ને દુ:ખ ન થાય..માટે અંતરની સંવેદનાઓને પોતે અંદર જ સંગોપી રાખતા.અને એકાંતની ક્ષણોમાં છીપની એ સ્મરણદાબડી ખોલી અમી સાથે ગોષ્ઠિ કરી રહેતા.જયાં બીજા કોઇને પ્રવેશવાનો અધિકાર નહોતો.એ ચંદ ક્ષણોમાં તે અમીને મહેસૂસ કરી રહેતા.

પણ….આજે..આજે અચાનક અમીનો અવાજ કેમ,કયાંથી સંભળાયો? આનંદભાઇ આંખો ચોળી રહ્યા.આ સત્ય છે કે સ્વપ્ન?આવો ભ્રમ કેમ થાય છે?હજુ પોતે નક્કી કરી શકે તે પહેલાં જ ફરી એક્વાર એ અવાજ ગૂંજયો, ” ઓહો…! દાદાજી,હજુ આટલા ભજિયા પૂરા નથી કર્યા?” અરે…!! આ તો વહાલી અમોલી…લાડલી પૌત્રી..!! અમી ની જ પ્રતિકૃતિ.! પણ હજુ આગળ વિચારે તે પહેલાં જ ચાર વરસની અમોલી આનંદભાઇને સ્નેહથી વળગી રહી અને,”ચાલો,દાદાજી.મોં ખોલો તો..”કહેતી દાદાના મોં માં ભજિયુ ખોસી રહી.

“અને આ બધા પૂરા કરવાના છે હોં.! નહીંતર મમ્મીને કહી દઇશ.પછી મમ્મી તમને કેવી ખીજાશે?તે દિવસે દૂધ ન’તા પીતા તો મમ્મી ખીજાણી’તી ને?પછી કેવું પીવું પડયું હતું..!! “નાની અમોલી તાળી પાડતી, ખડખડ હસતી …દાદાને કહી રહી હતી.અને દાદા એ સ્નેહવારિથી છલકાઇ રહ્યા હતા. કાલાઘેલા આ શબ્દોમાં જીવતરનો ઉજાસ હતો,મંદિરની ઘંટડીનો મજુલ ગુંજારવ હતો.અંતરની નિર્દોષતા હતી.પરમ પ્રસન્નતાની મીઠી પળો હતી.આનંદભાઇ પૌત્રીના હાસ્યના એ ફુવારા માં નહાઇ રહ્યા.સમગ્ર અસ્તિત્વમાં જાણે ચંદનની શીતળતા..અને પરમની પ્રસન્નતા વ્યાપી રહી. ”ચલો..દાદાજી જલ્દી ફીનીશ કરો..હજુ તો આપણે કેટલું રમવાનું બાકી છે.!!” એ હાસ્યગંગામાં નહાતા નહાતા આનંદભાઇ અને અમોલી ફટાફટ ભજિયા પૂરા કરી રહ્યા.

જોકે માનવ અને નિરાલીના હ્રદયમાં પણ એ પુનિત સ્મરણોની કલકલ ગંગા કયાં નહોતી વહેતી? બધા એકબીજાને ખુશ રાખવા પોતપોતાની રીતે પ્રયત્ન કરતા.નિરાલી પોતાના મનમાં રહેલ અપરાધભાવ ધોવા આનંદભાઇને જરાયે ઓછું ન આવે માટે સતત જાગૃત રહેતી.દિલની પૂરી સચ્ચાઇથી પપ્પાજીનું ધ્યાન રાખતી.માનવના દિલમાં પણ મમ્મીની યાદનો પ્રકાશ ફેલાયેલ હતો.નિરાલીએ અમીબેન જેટલા જ સ્નેહથી,કુશળતાથી ઘરનો વહીવટ સંભાળી લીધો હતો.અમીબેનનું વ્યક્તિત્વ ઘરમાં ગેરહાજર છતાં હાજર રહેતું.જોકે ત્રણે મેચ્યોર હતા.અતીતની યાદે દુ:ખી થઇ ને બીજા ને દુ:ખી કરવાને બદલે વર્તમાનમાં જીવી ને જીવનને સાર્થક બનાવતા શીખ્યા હતા. અને એમાં યે અમોલીના આગમને..ઘરને સ્વાભાવિક રીતે જ એક નવો રણકાર આપ્યો.આમેય એક નાનકડું શિશુ ગમે તેવી ઉદાસીને પ્રસન્નતામાં ફેરવી શકે છે.અમોલી હતી પણ એવી જ મીઠી.અમીબેનનો જ અણસાર લઇ ને જાણે અવતરી હતી.અમીની અમોલી ખરેખર આ ઘર માટે અણમોલ વરદાન સમ બની હતી.ઘરમાં ડૉકાતા ઉદાસીના પડછાયાને તેણે દૂર કર્યો હતો.વરસો બાદ શિશુની કિલકારીથી ઘર ગૂંજી ઉઠયું હતું.અમીબેન આ સુખ જોવા હાજર નહોતા.પણ એ જયાં હશે ત્યં એનો આત્મા અમોલી ને આશીર્વાદ આપી જરૂર હરખાતો હશે.એની ખાત્રી દરેક ને હતી.હવે બધાના ધ્યાનનું..સ્નેહનું કેન્દ્ર સ્વાભાવિક રીતે જ અમોલી બની હતી.દાદા,પૌત્રી તો જાણે એક્બીજાનો પડછાયો..! આનંદભાઇ અમોલીના સ્નેહવારિમાં તરબોળ થઇ જીવનની કમી ભૂલાવી શકતા હતા.

અને નીરવ..? પસ્તાવાનાં પુનિત ઝરણામાં નહાઇ ને નીરવ જણે ધરમૂળથી બદલાઇ ગયો હતો.

મનુષ્યના કર્મની કાલિમા ને ધોવા સમર્થ લઘુ અશ્રુ બિંદુ..”

એ ન્યાયે તે જાણે પહેલાનો નીરવ જ નહોતો રહ્યો.તેનો જીવનરાહ બદલાઇ ગયો હતો.પોતાની જાતને તે માફ નહોતો કરી શકતો.પોતાનો પસ્તાવો અમીબેનને પાછો થોડો લાવી શકવાનૉ છે?એ અપરાધભાવ તેને ડંખ્યા કરતો.કદાચ પોતાને કોઇ સજા મળી હોત તો..તો વધુ સારું થાત..એમ તે વિચારતો રહેતો.નિરાલી,માનવ કે આનંદભાઇના સારાપણાએ તેને વધુ અસર પહોચાડી.પોતે કેવો તુચ્છ છે..એ અહેસાસ તેના મનમાં સતત છવાયેલ રહેતો.એ અહેસાસ કાઢવા જેમ જેમ માનવ,નિરાલી પ્રયત્નો કરતા તેમ તે પોતાને વધુ અપરાધી સમજતો.તેને લગ્ન કરવા માટે …બધાએ ખૂબ સમજાવ્યો.પણ તેના મનનો વિષાદ કદાચ સો ટચના સોના જેવો હતો. પણ પોતાને લીધે કોઇ દુ:ખી થાય એ પણ તે નહોતો ઇચ્છતો. ખૂબ મનોમંથન બાદ તેણે “માનવ પરિવાર”જેવી સંસ્થામાં જોડાઇ જીવન અનાથ,ગરીબ,લાચાર લોકોની સેવામાં સમર્પિત કરી દીધું.શરૂઆતમાં ઘરમાં બધા એ તેને સમજાવી જોયો.પણ પછી જોયું કે નીરવ આમાં ખરેખર દિલથી ખુશ છે.તેથી બધાએ નીરવનો બદલાયેલ જીવનરાહ પ્રેમથી સ્વીકારી લીધો.અને તેણે કંઇ ઘર કયાં છોડયું હતું?આખો દિવસ” માનવ પરિવાર”માં ઉત્સાહથી તે કામ કર્યા કરતો.અને રાત્રે ઘેર આવી બધા સાથે આનંદથી રહેતો.સાત્વિક આનંદનો લહાવો લેવાથી..તે અંતરનો ડંખ પણ દૂર કરી શકયો.અને હવે તો આમાં જ તેને જીવનનું પરમ સુખ લાધ્યું હતું.એક નવી દિશાનો તે યાત્રિક બન્યો હતો.સમાજને એક સાચો માનવ મળ્યો હતો. સાચકલા સુખોની ક્ષણોથી તે જીવતર ઉજાળી રહ્યો હતો.પોતાનું ને અન્યનું પણ…

અને આનંદભાઇને પૌત્રી સાથે હસતા,છલકતા જોઇ માનવ અને નિરાલી પણ ખુશ હતા. આનંદભાઇની નજર સમક્ષ આખોયે અતીત ચલચિત્રના દ્રશ્યની જેમ પસાર થઇ રહ્યો.કદાચ હજુ તે એ યાદોમાં ખોવાઇને થૉડીવાર બેસી રહેત.

પણ…ત્યાં ”દાદાજી,ચાલો.. હું સંતાઇ જાઉ છું…તમારે મને શોધવાની છે..આંખ બંધ કરો…જો જરાયે જોવાનું નથી હોં…!! નો ચીટીંગ….”કહેતી અમોલી ના ટહુકા દાદાજીને ઝંકૃત કર્યા વિના થોડા રહે?અને દાદાજી એ પૌત્રીની સૂચના મુજબ આંખ બંધ કરી……..અને……અને દાદાજી ને શું દેખાયું?

મીઠા જળનું મીન ઉદધિમાંથી બહાર નીકળી શકવા સમર્થ બન્યું હતું..

અને દાદા દીકરીની રમતને નિરાલી અને માનવ પાછળથી ચૂપચાપ જોઇ રહ્યા.તેમની આંખોમાં….કોઇ નું પ્રતિબિંબ ચમકતું હતું.!!!અમોલીની નાનકડી,ચમકતી હીરાકણી જેવી પાણીદાર, વિશાળ આંખોમાં અમીની યાદનો ભીનો ઉજાસ બધાના હૈયે પ્રગટતો હતો.અને અવસરના ટુકડા જોડાઇ સુખનો ચંદરવો ધીમે ધીમે બંધાઇ રહ્યો હતો

.-: સમાપ્ત :