
પ્રણયના રંગે રંગાયેલા માનવ અને નિરાલી પોતપોતાના ઘરે આવ્યા. માનવ અઠવાડિયાથી ઘરની બહાર હતો. કામકાજના ભાર તળે નિરાલીને ફોન ન કરી શક્યો “ગૌરવ” પર આંટો મારીને તેની પરિસ્થિતિનો તાગ પણ મેળવવાનો હતો. માનવ બધી બાબતમા ખૂબ ચોક્કસ હતો તે તો તેની પ્રગતિનુ મુખ્ય કારણ હતું. પિતાની છત્રછાયા અને માર્ગદર્શન તેને અત્યંત સહાય રૂપ થતા. માનવ જાણતો હતો કે તેની માતા તેને ખૂબ પ્યાર
કરતી. નાનપણ માતાના પ્યાર અને પિતાની ચોકસાઈમાં વિકસ્યુ હતુ તેનો માનવ જીવતો જાગતો પૂરાવો હતો. પિતા તેને મન હવે મિત્ર સમાન બની રહ્યા હતા. માનવે પોતાની લાગણીઓનો પિતા સમક્ષ એકરાર કર્યો. પિતાએ પુત્રના દિલની વાત જાણી સંમતિની
મહોર મારી. રાતે જમવાના ટેબલ ઉપર વાત ચર્ચાઈ અમી પણ અનહદ ખુશ થઈ. સફળ પરિવારનુ ઉદાહરણ, કોઈ પણ વાત હોય નિખાલસ વાતાવરણમા તેની ચર્ચા કરી સમાધાન મેળવવું એ આ ઘરનો શિરસ્તો હતો.
આ બાજુ નિરાલીના ઘરનુ દ્રશ્ય ભિન્ન હતુ. તેના પિતા આધુનિકતાના રંગે રંગાયેલા હતા. નાનપણમા નિરાલી અને તેનો ભાઈ નિરવ માતાના કહ્યામા રહેતા. કિઁતુ જુવાની દિવાની, માતાની અવગણના થતી. નિખિલભાઈને તેની સામે વાધો ન હતો. નિતાબહેન જરુરિયાતથી વધારે બોલ્યા વગર પોતાની પ્રવ્રુત્તિમાં વ્યસ્ત રહેતા. નિતાબહેનની ચકોર આંખોએ નિરાલીમાં કશુંક ભાળ્યુ.
પ્રેમ છુપાવ્યો છૂપતો નથી. તેની અભિવ્યક્તિ કોઈ પણ રીતે થઈ જતી જણાય.
નિતાબહેને ધીરે ધીરે નિરાલીને વિશ્વાસમા લેવાના ચક્ર ગતિમાન કર્યા. પરિણામ નિતાબહેન નિરાલી પાસેથી જાણી શક્યાકે નિરાલી માનવને પ્રેમ કરતી હતી. હવે આ વાત નિખિલભાઈને કેવી રીતે જણાવવી તેની ગુફ્તગુ ચાલવા માંડી. નિરવે થોડી ઘણી બાતમી નિરાલીની સાથે વાત કરીને મેળવી. શીલનો ઈરાદો તેને ખબર હતો. ધીરે ધીરે પાણી પહેલા પાળ બાંધી વાત નિખિલભાઈ સુધી પહોઁચાડવામા સફળતા સાંપડી. માનવ મોદી, શેરબજારનો લબરમૂછીયો પોતાની દિકરીને ચાહે છે તે જાણી નિખિલભાઈ ખુશ થયા. મુંબઈ સમાચારના પાને માનવ ઘણીવાર ચમક્યો હતો. વાત આટલી સરળતાથી પતશે એવો તો નિરાલીને ખ્યાલ જ ન હતો. નિરાલી એ જે માનવના મન અને વર્તનનો અભ્યાસ કર્યો હતો તેનાપરથી માનવ જૂદી માટીમાંથી ઘડાયો હતો એવુ તેણે તારવ્યું. તેને માનવની દરેક ચીજ અફ્લાતુન લાગતી. માનવનો પ્રેમાળ સ્વભાવ, આટલી નાની ઉઁમરમા સાધેલી પ્રગતિ, માતાપિતા વિશેના તેના ઉમદા વિચારો—-નિરાલી વિચારતી માનવ આટલું બધુ જ્ઞાન કેવી રીતે પામ્યો હશે? ક્યાંથી આટલો સમય ફાળવ્યો હશે? જેમ જેમ તેના વિચાર કરતી તેમ તેમ તેનુ વિસ્મય વધતા જતા. પોતાને ખૂબ ભાગ્યશાળી માનવા લાગી. ધીરે ધીરે તે માનવમય થતી ગઈ. સાચો પ્યાર મનુષ્યમા ધરમૂળથી ફેરફાર કરતો હોય છે. નિરાલી તે અનુભવી રહી.
માનવ પણ નિરાલીની પ્રેમાળતા પર વારી ગયો હતો. તેની સુંદરતા માત્ર બાહ્ય ન જણાતા તેના અંત:સ્તલને સ્પર્શી ગઈ હતી. તેનું દિલ કહેતુ હતુ કે નિરાલીની પસંદગી યોગ્ય છે. નિરાલી જ્યારે માનવને મળતી ત્યારે થતી વાતચીત ઉપરથી માનવ તેના જિઁદગી વીશેના વિચાર જાણવા પામતો. નિરાલીને જ્યારે પણ તેણે મિત્ર મંડળમા જોઈ હતી ત્યારથી તેને વિષે વધુ જાણવા તે ઉત્સુક હતો. અને હવે જ્યારે શમણું સત્યતામાં ફેરવાયુ. તે હર પળ ભોગવતો. ખૂબ વ્યસ્તતાવાળા જિવનમા નિરાલીને ગોઠવવા તે શક્તિમાન બન્યો. આજે બેઁક બંધ હોવાથી શેરબજાર બંધ હતુ. સવારે ગૌરવ ઉપર આંટો મારી આવ્યો. પછી નિરાલીને ફોનજોડ્યો. “હલો નિરાલી આજે સાંજના રીગલમા નવુ ચિત્રપટ લાગ્યુ છે, ટિકિટ મંગાવી રાખી છે હું તને લેવા આવીશ પાંચ વાગે તૈયાર રહેજે.—“
